શુદ્ધ આહાર, સ્વસ્થ જીવનનો આધાર

વિશ્વનાં દેશોની સરકારો દરેક વ્યક્તિને ખોરાક મળે અને કોઈ ભૂખ્યા ન રહે એ ઉદ્દેશ્યની ખાતરી કરવા અને સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) ની ખાતરી કરવા માટે 7 જૂને “વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે”ની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિશ્વની મોટી વસ્તી ગરીબી, ભૂખમરાનાં સંકટથી પ્રભાવિત છે અને આ સંકટનાં યુગમાં ઘણા લોકો બે વખતની રોટલી માટે સંઘર્ષ કરી રહ્યા છે. લોકો પોતાનું જીવન પહેલાની જેમ સ્થિર કરવા માટે મથી રહ્યા છે ત્યારે આ વિશેષ દિવસની ઉજવણીનો હેતુ સંતુલિત અને સુરક્ષિત ખોરાકનાં ધોરણો જાળવવા અને જાગૃતિ ફેલાવવાનો છે અને નબળા આહારનાં વપરાશને લીધે થતા રોગોથી થતાં મૃત્યુની સંખ્યાનો આંકડો ઓછો કરવાનો છે. ખાધ સલામતી સુનિશ્ચિત કરે છે કે ખાધ ઉત્પાદનથી લઇને પાક, પ્રક્રિયા, સંગ્રહ, વિતરણ, વપરાશ પહેલાંની તૈયારી સુધીનો દરેક તબક્કો સંપૂર્ણપણે સલામત છે.
આ જાગૃતિ માટે, “વિશ્વ ફૂડ સેફ્ટી ડે”નો તર્ક અને મહત્વ વધે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, દર વર્ષે ઘણા લોકો દૂષિત ખોરાક અથવા બેક્ટેરિયાવાળા ખોરાકથી બીમાર થાય છે. જે આંકડો કરોડોને પાર કરે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ રાજ્યો દ્વારા સ્વચ્છ પોષણયુક્ત આહાર પૂરા પાડવાના પ્રયત્નોના સંદર્ભમાં સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેકસ (SFSI)નો પ્રારંભ કર્યો છે. ઘણી ચીજ્વસ્તુ પર દર્શાવાતો ‘એફએસએસએઆઈ માર્ક’ એ તે પેકેટમાં રહેલો ખોરાક સુરક્ષિત છે તેમ દર્શાવે છે. વર્તમાન સમયમાં ઘણા યુવાનો કે આધેડ વયના વ્યક્તિઓને હાર્ટ એટેકનાં આવવાનાં કિસ્સા જોવા મળ્યા હતાં તેનું એક કારણ હાઈપર ટેન્શન કે ઓવર સ્ટ્રેસ તો હોય જ પરંતુ એની સાથે સાથે ખાવાની ખોટી આદતો પણ સમાયેલી છે.
એક સંશોધન અનુસાર માણસ જયારે વધુ પડતા સ્ટ્રેસમાં હોય છે ત્યારે એનાં ટેસ્ટ બર્ડ્સમાં વધુને વધુ જુદા જુદા પ્રકારનાં એન્ક્ઝાઈમ ઉત્પન્ન થતાં હોય છે જે કાયમ જંક ફૂડની માંગણી કરતા હોય છે. તેનું કારણ માણસનાં શરીરમાં પહેલેથી જ જંક ફૂડથી બનેલા કોષો(સેલ્સ) હોય છે જે વધુને વધુ જંક ફૂડની માંગણીઓ કરતાં હોય છે. માસિક ધર્મનાં સમય દરમિયાન મોટા ભાગે સ્ત્રીઓની પણ આ અવસ્થા જોવા મળે છે. બીજું કારણ માંસાહાર ખાવાની આદત હોઈ શકે કારણ કે તે એક એવો ખોરાક છે જે લીધા પછી માણસનું શરીર સંપૂર્ણપણે એસીડીક બનતું જાય છે અને સ્વાસ્થ્ય જાળવવા માટે માનવ શરીર એસીડીકનાં સ્થાને અલ્કલાઇનની નજીક વધુ રહે એ વધુ હિતાવહ કહેવાય માટે શાકાહાર અપનાવવું જોઈએ.
વિચિત્ર પ્રકારનાં ઘડેલા ખોરાક ખાવાને બદલે કુદરતે આપેલું ભોજન લેવું વધુ યોગ્ય છે. વળી માંસાહાર કરતાં શાકાહારમાં મળતાં ન્યુટ્રિશન્સ વધુ ચડિયાતાં છે, એ વાત આપણે ભૂલી જઈએ છીએ. કસાયેલું સિક્સ-પેક એબ્સ વાળું બોડી બનાવવું હશે તો અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદિ માનવશરીર માટે એક સંપૂર્ણ ફૂડ-પેકેજ છે, જેમાં જરૂરી વિટામિન, મિનરલ્સથી શરૂ કરીને પ્રત્યેક ન્યુટ્રિશન્સનો સમાવેશ થઈ જાય છે. ભારતમાં ગરીબી, બેરોજગારીનું પ્રમાણ વધુ છે. તેથી શુદ્ધ અને પોષણયુક્ત આહાર પ્રાપ્ત કરવો એ દરેક વ્યક્તિ માટે શક્ય નથી એવા સમયે આવા નીચી આવક ધરાવતા લોકોને શુદ્ધ આહાર અને પાણી મળી રહે તેનું ધ્યાન સરકાર સહીત તમામ ઉચ્ચ કે મધ્યમ વર્ગનાં લોકોએ પણ રાખવું જોઈએ.