સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો ઉચ્ચતર પગાર ધોરણથી વંચિત

સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો ઉચ્ચતર પગાર ધોરણથી વંચિત
સરકારની અનિર્ણાયકતા ના પરિણામે સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો ઉચ્ચતર પગાર ધોરણથી વંચિત
રાજ્યમાં આવેલી સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો રાજ્યમાં ઉત્તમ ઇજનેરો તૈયાર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. રાજ્યમાં ઇજનેરોનું તકનીકી કૌશલ્ય એ ઇજનેરી કોલેજોના અધ્યાપકો દ્વારા આપવામાં આવતા ગુણવત્તાસભર શિક્ષણ ને આભારી છે. શૈક્ષણિક કાર્યની સાથોસાથ આ અધ્યાપકો રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ અને કાર્યક્રમોને સફળ બનાવે છે. પ્રધાનમંત્રીશ્રીના દુરંદેશી સભર વિદ્યાર્થીઓને મદદરૂપ એવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી નો અમલ હોય કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હોય, વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમ હોય હોય કે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ 2022 જેવી સ્પર્ધા હોય ઇજનેરી કોલેજના અધ્યાપકો પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીને કાર્યક્રમ/યોજના ને સફળ બનાવતા હોય છે.
એઆઈસીટીઇ, નવી દિલ્હી દ્વારા વર્ષ 2019 માં સાતમા પગારપંચ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ માર્ચ 2020 માં રાજ્ય સરકારે સાતમા પગાર પંચનો સૈદ્ધાંતિક સ્વીકાર કરી પરિપત્ર બહાર પાડેલો હતો. આજ ત્રણ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં પણ ઉચ્ચતર પગાર ધોરણ (કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) અંગેના ધારાધોરણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ નથી જેને પરિણામે રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો છેલ્લા 12 વર્ષથી એક જ પગાર ધોરણમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓને મળવા પાત્ર ઉચ્ચતર પગાર ધોરણ ( કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) માટે ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત ટેકનિકલ શિક્ષણ વિભાગના નિયામકશ્રી થી લઈને રાજ્યના મુખ્યમંત્રીશ્રી સુધી અનેકવિધ વાર કરવામાં આવી છે.આ સમયગાળામાં બે મુખ્યમંત્રી બદલાયા, ત્રણ શિક્ષણ મંત્રી બદલાયા, બે અગ્ર સચિવ બદલાયા તેમજ ત્રણ ટેકનિકલ શિક્ષણ નિયામક બદલાયા. દરેક વખતે બદલાવને અંતે ઉચ્ચતર પગાર ધોરણ (કેરિયર એડવાન્સમેન સ્કીમ) માટે મંડળના હોદ્દેદારોએ લેખિતમાં રજૂઆત કરી, મંત્રીશ્રીઓનો સમય માંગી રૂબરૂ મુલાકાત કરી મુદ્દાસર વિસ્તારપૂર્વક રજૂઆત કરી તેમ છતાં પણ આજ દિન સુધી કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ અંગે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
શિક્ષણ વિભાગ હેઠળ સમાવિષ્ટ ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં આશરે ૩૦૦ જેટલા અધ્યાપકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ હેઠળના જ ટેકનિકલ શિક્ષણ વિભાગના અધ્યાપકો આ ઉચ્ચતર પગાર ધોરણથી વંચિત રહેતા નિરાશાની અને હતાશા ની લાગણી અનુભવી રહ્યા છે. સરકાર ની આવી બેવડી નીતિ ‘જમવામાં જગલો અને કૂટવામાં ભગલો’ એવી ગુજરાતી કહેવતને યથાર્થ કરી રહી હોય એમ લાગે છે.
રાજ્યની સંવેદનશીલ સરકાર આ અંગે ત્વરિત નિર્ણય લે અને રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપતા ઇજનેરી કોલેજના અધ્યાપકોની માંગ સ્વીકારી કેરિયર એડવાન્સમેન સ્કીમ ઝડપથી લાગુ કરે તેવી ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજયપત્રિત અધિકારી મંડળની લાગણી છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300