વસ્ત્રાપુરમાં હોળીનું માંગવા આવેલા કિન્નરો લાખોના દાગીના લઇ રફુચક્કર…!
આગામી દિવસોમાં હોળી આવી રહી છે ત્યારે રાજસ્થાની લોકો અને કિન્નરો લોકોનાં ઘરે જઇને ભેટ માંગતા હોય છે. પણ જો તમારા ઘરે કોઇ આ ભેટ માંગવા આવે ત્યારે સતર્ક રહેવું ફરજીયાત બન્યું છે. કારણ કે અમદાવાદમાં એક એવો કિસ્સો બન્યો છે જેમાં એક મકાન માલિકના ઘરે હોળીની ભેટ લેવા કિન્નરનાં સ્વાંગમાં આવેલા શખ્સો પાણી માંગી એક લાખનાં દાગીના લઇને ફરાર થઇ ગયા છે. વસ્ત્રાપુરનાં રેજન્સી ટાવરમાં રહેતા 54 વર્ષીય કુંદનબહેન પટેલ તેમના દીકરા હર્ષ સાથે રહે છે. તેઓ ગઇકાલે ઘરે હાજર હતા.
ત્યારે અચાનક તેમના ઘરનો બેલ રણક્યો હતો. ઘરનો દરવાજો ખોલીને જોતા માસીબા જેવા બે લોકો ઉભા હતા. તે બંને પાડોશીનાં ઘરે ઉભા રહીને પાણી પીતા હતા. ત્યારે આ માસીબાએ કુંદનબહેન પાસે હોળીનાં પૈસા માંગ્યા હતા. ત્યારે કુંદનબહેને તેમના દીકરાને પૂછ્યું હતું કે, માસીબાને કેટલા રૂપિયા આપવા છે, જેથી હર્ષભાઇએ 200 રૂપિયા આપવાનું કહ્યું હતું. કુંદનબહેને તે રૂપિયા જાળીમાંથી જ આપ્યા હતા. ત્યારે માસીબાના સ્વાંગમાં આવેલા ગઠિયાઓએ વાતચીત શરૂ કરી હતી.
ઘરમાં કોણ કોણ રહો છો, પાણી નહિ પીવડાવો તેમ કહી પાંણી માંગ્યું હતું. પણ કુંદનબહેને કહ્યું કે હાલ તો બાજુમાં પી ને આવ્યા પણ માસીબાને નારાજ કોણ કરે તેવું માનીને તેમને જાળી ખોલી પાણી લેવા ગયા હતા. તેટલામાં જ આ કિન્નરનાં સ્વાંગમાં આવેલા બે લોકો ઘરમાં જઇને બેસી ગયા હતા અને પાણી પી ને નીકળી ગયા હતા.
બાદમાં હર્ષભાઇ બહાર આવ્યા તો તેમની માતાનાં ગળાનાં અને હાથમાં દાગીના નહોતા. જેથી તે બાબતે પૂછતાછ કરતા તેમને આ કિન્નરો પર શંકા ગઇ હતી. પાડોશી અને ગાર્ડને પૂછ્યું તો ગાર્ડે કહ્યું કે, બે માસીબા મારૂતિ ઝેન કારમાં આવ્યા હતા અને કારમાં અંગ્રેજીમાં ‘જય માતાજી’ અને ‘જીગર’ લખ્યું હતું. એક જ બ્લોકમાં આ રીતે બે મકાનમાં ઘૂસીને એક લાખનાં દાગીના તફડાવીને બંને ફરાર થઇ જતાં કુંદનબહેને પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસનાં સીસીટીવી ફુટેજ એકત્રિત કરી તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)