શિક્ષણ જગતની શર્મનાક ઘટના પર CM રૂપાણીએ કરી લાલ આંખ, આપ્યા તપાસના આદેશ

અરવલ્લી જિલ્લામાં આજે બે ઘટનાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે જેમા મોડાસા તાલુકાના કુંડોલ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના સામે આવી. અહિં એક શિક્ષકે જ કુમળી બાળાઓ સાથે અડપલાં કરતા હાહાકાર મચી ગયો હતો. કુંડોલ ગામની પ્રાથમિક શાળાનો લંપટ શિક્ષક અડપલાં કરતો હોવાની ફરિયાદથી વાલીઓએ શાળામાં એકઠાં થઈને હોબાળો મચાવ્યો હતો.
એક વિદ્યાર્થિનીએ વાલીઓને જાણ કરી હતી કે શિક્ષક પ્રવિણ ભાઈ રૂમમાં એકલા બોલાવી અને ગાલ પર અને શરીરના અન્ય ભાગોમાં સ્પર્શ કરતા હતા. ત્યાં જ બીજી ઘટનામાં રાણપુર આંબા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા ચાલુ શાળા દરમ્યાન કાર શીખી રહી હતી. ત્યારે જ તેને શાળાનાં કંપાઉન્ડમાં પૂરઝડપે કાર હંકારતા એક વિદ્યાર્થિનીને કારની ટક્કર વાગતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ આદિવાસી સમાજનાં લોકોમાં રોષે ભરાયા છે અને સ્થાનિક પોલીસને આ અંગે ફરિયાદ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.
હવે આ મામલે અરવલ્લી અને અંબાજીની ઘટનામાં કાર્યવાહીના કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ આપી દીધા છે. આ બંન્ને મામલે કડક કાર્યવાહી કરવાના CM રૂપાણીએ આદેશ આપ્યા છે. અને જણાવ્યું છે કે, ઘટનામાં જે કોઇ દોષી હશે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. વલસાડના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સમક્ષ આ નિવેદન આપ્યું હતું.
રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)