અમદાવાદમા કારમાં આગ લાગતા ચાલક સીટ પર જ ભડથું

અમદાવાદ શહેરમાં ઈન્દિરા બ્રિજ નજીક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કારમાં અચાનક આગ લાગી, જેમાં કાર ચાલક બહાર જ ન નીકળી શક્યો અને કારની ડ્રાઈવર સીટ પર ભડ-ભડ સળગી ભડથુ થઈ ગયો હતો. પોલીસ સૂત્રો અનુસાર, અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે રવિવારે બપોરના સમયે બલેનો કાર માં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જોકે આગ લાગ્યા બાદ કારચાલકે કારમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દરવાજો ન ખુલતા તે ઊતરી શક્યો ન હતો અને આગમાં બળી જવાથી તેનો જીવ ગયો હતો.
સાયન્સ સીટી વિસ્તારમાં યોગેશભાઈ પ્રજાપતિ રવિવારે બપોરના સમયે નરોડા વિસ્તારમાં તેમના કાકા સસરા મૃત્યુ થતા બેસવા માટે જતા હતા તે દરમિયાન અચાનક જ કારમાં આગ લાગી હતી અને તેમનો જીવ ગયો હતો. યોગેશભાઇએ આઠ થી નવ મહિના પહેલા જ આ કાર ખરીદી હતી. જોકે કારમાં જ છેલ્લા કેટલાય દિવસથી શોર્ટસર્કિટની સમસ્યા હતી, ત્યારે આજે લાગેલી આગમાં પણ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોય તેવી આશંકા છે. સમગ્ર ઘટનાની જાણ થતા તેના પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તેઓએ ન્યાયની માંગણી કરી હતી.
રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)