અમદાવાદમાં 500 જગ્યાએ એર પ્યોરીફાયર મશીન મુકાશે..!

અમદાવાદ શહેરની હવા હવે ઝેરી બની રહી છે. દિલ્હી બાદ અમદાવાદ શહેરની હવા પ્રદૂષિત થતા એએમસી તંત્ર હરક્તમાં આવ્યુ છે. શહેરમાં અલગ-અલગ 500 જગ્યા પર એર પ્યોરીફાયર મશીન મુકવાની જોગવાઇ કરાઇ છે. તેમજ પીરાણા, જાસપુર, પીપળજ, હાથીજણ ખાતે અર્બન ફોરેસ્ટ સઘન વનીકરણ ઝુંબેશ હાથ ધરાશે.
અમદાવાદ શહેરના મેયર બિજલ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ શહેરમાં વધી રહેલા એર પોલ્યુશન પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યુ હતું કે અમદાવાદ શહેરમાં પર્યાવરણ જાળવણી માટે મિશન મિલીયન ટ્રી ના સફળ પ્રયોગ સાથે નવા બાગ બગીચા, ઇલેક્ટ્રીક બસો, સોલાર પાવર પ્રોજેક્ટ, વિન્ડપાવર પ્રોજેક્ટ અમલમાં છે. શહેરની એર ક્વોલિટીમાં સુધારો થાય તથા એર ક્વોલિટી જળવાઇ રહે તે હેતુથી અમદાવાદ એરક્વોલિટી એક્શન પ્લાન અંતર્ગત હાલમાં પીરાણા ખાતે ડમ્પસાઇટને બાયોમેટ્રીક પદ્ધતિથી નિકાલ કરવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેનો આધુનિક સાધનોથી ઝડપી અમલ થાય તે હેતુથી અંદાજપત્રમાં પીરાણા ડમ્પસાઇટમાં કામગીરી માટે 14 કરોડની ફાળવણી કરવામાં આવે છે.
વધુમાં કમિશનર વિજય નહેરાએ જણાવ્યુ હતું કે શહેરમાં વાહનોની સંખ્યા વધતા આ સમસ્યા ઉભી થઇ છે. શહેરમાં વોલ ટુ કાર્પેટિગ કરવામાં આવ્યુ છે અને આ વર્ષે પણ કરવામાં આવશે. પીરાણા ડમ્પને લીધે પણ શહેરમાં હવા પ્રદુષિત થઇ રહી છે. જે મામલે એએમસી કામ કરે છે. આ ઉપરાંત શહેરમાં 500 જંક્શન ઉપર પીપીપી મોડેલથી એર પ્પોરીફાયર મશીન મુકવા આયોજન કરવાનું ઠરાવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા એક ક્વોલિટી ઇન્ડેક્ષ માહિતી દર્શાવતા એલઇડી શહેરમાં મુકવામાં આવેલ છે. તે પ્રકારે નવી 10 જગ્યાએ એર ક્વોલિટી-માહિતી દર્શાવતા એલઇડી મુકવા ઠરાવવામાં આવે છે.
તો બીજી તરફ વિપક્ષ નેતા દિનેશ શર્માએ જણાવ્યુ હતું કે એએમસી વર્ષિક 100 કરોડથી વધુનો ખર્ચે કરે છે. એર પ્પોરીફાયર મશીન મુકવાનો પાયલોટ પ્રોજેક્ટ મુકાયો હતો. પણ તેનાથી કેટલી હવા શુદ્ધ થઇ તેના આંકડા જાહેર કરવા જોઇએ. તેમજ હવા પ્રદુષિત કરતા એકમો સામે કાર્યવાહી કેમ એએમસી કરતુ નથી. ક્યારે આવા એકમ સામે એએમસી પગલા લેશે. કારણ કે આજે લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે સીધી અસર જોવા મળે છે. આજે અમદાવાદ દિલ્હી કરતા વધુ ઝેરી બની રહ્યુ છે જે ઘણી ગંભીર બાબત કહેવાય.
આ ઉપરાત શહેરમાં પીરાણા જાસપુર, પીપળજ, હાથીજણ ખાતે થતા મ્યુનિ.કોર્પોરેશન તેમજ કલેક્ટર, રેલવે બોર્ડ નિગમના ખાલી પ્લોટોમાં યોગ્ય કાર્યવાહી કરી ઘનિષ્ઠ વનીકરણ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવા અંદાજપત્રમાં 1 કરોડ ફાળવવામાં આવે છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સિટી પોલ્યુશન મોનિટરીંગ સેલની રચના કરી વાયુ પ્રદૂષણ અંગે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ સાતે સંકલન કરી કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)