ધો. ૧૦ના પરીક્ષાર્થીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ, જિલ્લા શિક્ષણાધિકારી અને મામલતદાર દ્વારા સાંત્વના

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૫ મી માર્ચથી પ્રારંભાયેલી ધો. ૧૦ (SSC) અને ધો. ૧૨ (HSC) ની બોર્ડની જાહેર પરીક્ષાઓના પ્રથમ દિવસે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભદામ ગામના રહેવાસી અને ભદામ ગામની વલ્લભ વિદ્યાનિકેતન સ્કૂલના વિદ્યાર્થી નયનભાઇ શુકલભાઇ વસાવા અને અન્ય વિદ્યાર્થી ધૃવિતભાઇ રાજેશભાઇ વસાવા માંગરોલ ગામની સાર્વજનિક હાઇસ્કુલ પરીક્ષા કેન્દ્ર ખાતે મોટરસાયકલ ઉપર પરીક્ષા આપવા જતા હતા તે દરમિયાન રસ્તામાં માર્ગ અકસ્માતમાં વિદ્યાર્થી નયનભાઇ શુકલભાઇ વસાવાનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય વિદ્યાર્થી શ્રી ધૃવિતભાઇ રાજેશભાઇ વસાવા ઇજાગ્રસ્ત થયો હતો.
નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. એન.ડી.પટેલ અને નાંદોદના મામલતદાર ડી.કે.પરમાર એ ઉક્ત અકસ્માતમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થી નયનભાઇ શુકલભાઇ વસાવા ના પરિવારજનોની આજે સાંજે રૂબરૂ મુલાકાત લઇ ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પ્રશાસન તરફથી મૃતક વિદ્યાર્થી નયનભાઇના આકસ્મિક અવસાન બદલ ઉંડા દુ:ખ અને ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી મૃતક વિદ્યાર્થીના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પરમકૃપાળુ પરમાત્મા સદગત વિદ્યાર્થી નયનભાઇના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે દિલસોજી પાઠવી હતી.
તેવી જ રીતે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થ ધૃવિતભાઇ રાજેશભાઇ વસાવાના ઘરની મુલાકાત લઇ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના ખબરઅંતર પૂછ્યા હતા અને તેમના પરિવારજનો પાસેથી સારવાર અંગે જાણકારી મેળવી હતી. આ ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ઝડપથી સાજો થઇ જાય તેવી પ્રભુવંદના પણ તેમણે કરી હતી. આ મુલાકાત દરમિયાન ભદામ ગામની વલ્લભ વિદ્યાનિકેતન સ્કૂલના આચાર્ય મહેશભાઇ પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા