રાજકોટ ને વિકાસલક્ષી બજેટ આપતા મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૧-૨૨નું કરબોજ વગરનું ૨૨૭૫ કરોડનું બજેટ મ્યુ. કમિશનર ઉદીત અગ્રવાલે આજે સવારે ૧૦:૩૦ વાગ્યે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલને સુપ્રત કર્યુ હતું. નવા ભેળવાયેલ મુંજકા, ઘંટેશ્વર, મોટા મૌવા, માધાપર સહિતનાં પ ગામમાં રસ્તા, ડ્રેનેજ, પાણી સહિતની સુવિધા માટે ૭૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મ્યુ. કમિશનર અગ્રવાલે બજેટની વિસ્તૃત વિગતો પત્રકાર પરિષદમાં રજૂ કરતા જણાવ્યુ હતું કે, રાજકોટ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામ મેળવી રહ્યું છે. ત્યારે શહેરમાં મેટ્રો સીટી જેવી સુવિધા આપવી એ તંત્ર માટે પડકાર છે. ત્યારે મહાનગરપાલિકા આ પડકારને પહોંચી વળશે તેવી આશા સાથે વર્ષ ૨૦૨૧-૨૨નું આ બજેટ રજુ કર્યું છે. આ બજેટમાં નવી ટી.પી. સ્કીમોનું ડેવલપમેન્ટ, માપણી તેમજ કાલાવડ રોડ, ગૌરવ પથ અમીન માર્ગ અને ત્રિકોણબાગથી માલવિયા ચોક સુધીનો રોડ વગેરે રસ્તાઓ લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ પહોંળા કરવા. આ વર્ષે બજેટમાં પાણીવેરામાં કોઇ રાહત આપવામાં આવી નથી. તેમજ નવા વિસ્તારોમાં મિલકત વેરો વધારવામાં આવ્યો છે. આ વર્ષના બજેટમાં શહેરમાં વર્ટીકલ ગાર્ડન બનાવવાની જોગવાઇ કરવામાં આવી છે. શહેરમાં નવા ભળેલા ૫ ગામોમાં ૭૨ કરોડની ફાળવણી કરવામાં આવી છે. નવા ભળેલા ગામો જેમાં મોટામવા, મુંજકા, માધાપર, મનહરપરા, ઘંટેશ્વરના વિસ્તારોમાં વેરાની આકારણી શરૂ થઈ છે. ફાયર બ્રિગેડ, ડ્રેનેજ, કન્ઝરવન્સી ટેક્સ યથાવત રાખવામાં આવ્યો છે. ચાલુ વર્ષે પાણી વેરો યથાવત રાખવામાં આવ્યો છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.