વીરપુર નવાગામના નવા બનેલા ડામર રોડ પર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે લોકોનો વિરોધ

વીરપુર નવાગામને જોડતા રસ્તાને બન્યાને હજુ ગણતરીના કલાકો જ થયા હતા અને તેના પરથી પોપડાં ઉખડવા લાગતાં જાગૃત લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા અને તેમનું લાયસન્સ રદ કરવા માગણી કરવામાં આવી હતી. વીરપુર અને નવાગામ,લીલાખા, દેવળા, ગોમટા સહિતના 15 જેટલા ગામોને જોડતો રોડ કે જે વીરપુરની આજુબાજુના 15 જેટલા ગામડાના લોકોને પ્રાથમિક સારવાર માટે વિરપુર સિવિલ હોસ્પિટલમાં આવવા માટે તથા કોઈ ચીજવસ્તુઓની ખરીદીઓ માટે આજ રોડનો ઉપયોગ કરવામાં આવે છે.
પરંતુ ચાર-પાંચ દિવસમા જ આ નવા બનાવેલા ડામર રોડમાં ડામર ઉખડીને ગાબડા પડી ગયા હોવાથી આ રોડમાં બહુ જ મોટો ભ્રષ્ટાચાર થયાનો વીરપુર તેમજ નવાગામ ગામના સરપંચ તેમજ ગામ લોકોએ આક્ષેપો કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો,વીરપુર ગામના સરપંચ નારણભાઇ ઠુંગા તેમજ વીરપુરના રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ ડોબરીયા તેમજ નવાગામના સરપંચ બટુકભાઈ કંડોલીયા તેમજ રમેશભાઈ કાકડીયા સહિતના ગામ લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે આ રોડના કોન્ટ્રાક્ટરે રોડના કામમાં એટલી હદે હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપર્યું છે કે લોકો પોતાના હાથ વડે જ ડામર રોડ ઉખેડી શકે.
હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરીને રોડના કામમાં ગેરરીતિ કરી હોવાથી રોડમાં ગેરનીતિ સામે વિરોધ કરી આ રોડના કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરી રોડ કોન્ટ્રાક્ટરનું લાઈસેન્સ રદ કરી આ વીરપુર નવાગામ રોડ ફરીથી નવો બનાવવાની માંગ કરી હતી હતી.
રિપોર્ટ : ચુડાસમા વિક્રમસિંહ જેતપુર