૧૪મી માર્ચથી શરૂ થતી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા માટે ગાંધીનગર જિલ્લામાં એક્શન પ્લાન

૧૪મી માર્ચથી શરૂ થતી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા માટે ગાંધીનગર જિલ્લામાં એક્શન પ્લાન દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવાઇ
પરીક્ષાનો ડર નહીં, પરીક્ષાને ઉત્સવ ગણી, તણાવમુક્ત બની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને અનુરોધ
ગાંધીનગર જિલ્લામાંથી ૨૭૦૭૮ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ ની અને ૨૨૧૨૧ વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા આપશે
ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઇઃ ટોલ ફ્રી હેલ્પ લાઇન અને કંટ્રોલરૂમ દ્વારા અપાશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૩ દરમિયાન લેવાનારી એસ.એસ.સી અને એચ. એસ. સી.ની પરીક્ષા સંદર્ભે ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકના પ્રારંભે રાજ્યના શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દરેક જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપી બોર્ડની સમગ્ર પરીક્ષા પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રીએ પરીક્ષાનો ડર નહીં, પરંતુ પરીક્ષાને ઉત્સવ ગણી, તણાવમુક્ત બની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો અને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે આગામી ૧૪મી માર્ચથી શરૂ થઈ રહેલી ધો. ૧૦ અને ધો. ૧૨ની બોર્ડની પરીક્ષા અંતર્ગત ગાંધીનગર જિલ્લાના પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં ૩૩ પરીક્ષા મથકો ઉપરથી ૨૭૦૭૮ વિદ્યાર્થીઓ ધો. ૧૦ની પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે ધો. ૧૨ માટે ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના કુલ ૨૧ સેન્ટર ઉપરથી કુલ ૨૨૧૨૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં ૫૨૮૪ વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રવાહના છે.
આ બેઠકમાં પરીક્ષાના સુચારું સંચાલન માટે જિલ્લા કક્ષાના એક્શન પ્લાનનો અમલ, પરીક્ષા કેન્દ્રો અને ઝોનલ કચેરીઓ ખાતે કાયદો વ્યવસ્થા જાળવવા, પરીક્ષા સ્થળો ઉપર સો ટકા સી. સી. ટી. વી કેમેરા અને સઘન ચેકિંગની વ્યવસ્થા, સંવેદનશીલ કેન્દ્રો માટે ખાસ તકેદારીના પગલાં તેમજ વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાએ કાઉન્સેલિંગ શરૂ કરવા જેવા મુદ્દાઓ ઉપર વિચાર વિમર્શ કરાયો હતો. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી. એન. પ્રજાપતિએ બોર્ડની પરીક્ષા સંચાલન સંદર્ભે જિલ્લામાં અમલમાં મુકાયેલા એક્શન પ્લાન અને સઘન આયોજન અંગે માહિતી આપી હતી.
આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ તણાવમુક્ત બનીને પરીક્ષા આપી શકે તે માટે તા ૧ માર્ચથી તા. ૨૯ માર્ચ સુધી રાજ્યકક્ષાએ હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ દ્વારા વિદ્યાર્થીઓ જાહેર રજાઓ સહિતના દિવસોએ સવારના દસ વાગ્યાથી સાંજના ૬;૩૦ કલાક દરમિયાન માર્ગદર્શન મેળવી શકશે. આ ઉપરાંત આગામી તા. ૧૩ મી માર્ચથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે જિલ્લા કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવશે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300