તિલકવાડા તાલુકાના શીરા ગામમાં રાત્રિના સમયે મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના શીરા ગામ માં રાત્રિના સમયમાં મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે જીવદયા પ્રેમીને જાણ કરતાં વન વિભાગના સહયોગથી અજગરને પકડી સુરક્ષિત રીતે જંગલમાં છોડી મુકાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી. બનાવની વિગત અનુસાર તિલકવાળાના શીરા ગામના પ્રવીણભાઈ શનાભાઈ ભીલ રાત્રી દરમિયાન ખેતર પાણી વાળી રહ્યા હતા એકા એક તેમની નજર અજગર પર પડતા તેઓ ચોકી ગયા હતા. ગભરાઈ ગયેલા પ્રવીણભાઈ દોડીને ગામના લોકોને ભેગા કરતા ગામના યુવાન કમલેશભાઈએ ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને સંપર્ક કરતા સંસ્થાના નીરવ તડવી, તુષાર તડવી સ્થળ પર પહોંચી અજગરને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા અજગરને વનવિભાગના ફોરેસ્ટ યુ.બી.તડવીને સોંપી દેતા તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડી મુકાયો હતો.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા