સુરેન્દ્રનગર ખાતે ત્રિ-દિવસીય ઝાલાવાડ યોગ શિબિર યોજાશે
- ૧૦,૦૦૦થી વધુ લોકો એક સાથે યોગ કરશે
સુરેન્દ્રનગર સ્થિત શ્રી એમ.પી.શાહ આર્ટસ એન્ટ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ઝાલાવાડ યોગ સમિતિ અને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૮ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી ત્રિદિવસીય ઝાલાવાડ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ૧૦,૦૦૦થી પણ વધુ લોકો એક સાથે યોગ કરશે.
આ શિબિરમાં કમરનો દુખાવો, સાયટિકાનો દુખાવો, ઘુંટણનો દુખાવો, ગરદનનો દુખાવો, સ્નાયુનો દુખાવો, કબજિયાત, એસીડીટી, પિત્ત, ગેસ, મેદસ્વિતા, માથાનો દુખાવો, ડાયાબિટીશ, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, હ્રદયની તકલીફ, ભૂલવાની બિમારી, ખીલ, આંખના નંબર, ખરતા વાળ અને પેટ-કમરની ચરબી સહિત અનેક પ્રકારના વિવિધ રોગોના નિવારણ માટે યોગાસનનો અભ્યાસ કરાવવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં યોગ ક્ષેત્રે અગ્રેસર આર્ય સમાજ, લકુલીશ યુનિવર્સિટી, પતંજલિ યોગ સમિતિ, આર્ટ ઓફ લિવિંગ, બ્રહ્મા કુમારીસ, ગાયત્રી શક્તિપીઠ, ઝાલાવાડ યોગ સમિતિ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા શહેરીજનોને આ ત્રિ-દિવસીય યોગ શિબિરમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)