ગાંધીનગરમાં વાવાઝોડાથી 7 ઘરોને નુકસાન થતાં 1.30 લાખની સહાય

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં વાવાઝોડાથી 7 જેટલા ઘરોને નુકસાન પહોંચ્યું હતું. જેમાં સુઘડ ડભોડીયાવાસ, ભાટ વણઝારા વાસ, ઈન્દ્રોડા વાણિયાવાસ, વાવોલ કુબેનગરમાં 1-1 કાચા મકાનને વાવાઝોડાથી નુકસાન થયું હતું. જે તમામ કિસ્સામાં 25-25 હજાર સહાય ચુકવાશે. બીજી તરફ સે-13 રેલવે સ્ટેશન પાસેના 2 છાપરા અને કોટેશ્વર ઠાકોરવાસમાં 1 છાપરાને નુકસાન થયું હતું, જે ત્રણેય કિસ્સામાં 10-10 હજાર ચુકવાશે. આ સાથે વાવાઝોડાથી મનપા વિસ્તારમાં 113 વૃક્ષો ધરાશાયી થયા હતા અને 1 વીજપોલને નુકસાન થયું હતું.
એકદરે વાવાઝોડથી ગાંધીનગર જિલ્લામાં કુલ 96 જેટલા મકાનોને અસર થઈ હતી, જેમાં 4 ઝુંપડા, 72 કાચા મકાન અને 12 પાકા મકાન તથા 1 શેડનો સમાવેશ થાય છે. જેમાં દહેગામ અને કલોલ તાલુકામાં 1-1 મળી કુલ 2 મકાનો સંપૂર્ણ નાશ થયા હતા. જે બંને કિસ્સામાં ઘરદીઠ 95,100ની સહાય ચુકવાશે.
બાકી ઘરોની વાત કરીએ તો દહેગામમાં 4 ઝુપડા, 49 કાચા મકાન, 11 પાક મકાનને નાનું મોટું નુકસાન થયું હતું. ગાંધીનગર તાલુકામાં 7 કાચા ઘર, કલોલ તાલુકામાં 2 કાચા અને 1 પાકુ મકાન, માણસા તાલુકામાં 12 કાચા મકાન અને એક શેડને વાવાઝોડાથી નાનું મોટુ નુકસાન થયું હતું. નિયમ મુજબ ઝુંપડાના કિસ્સામાં સરકાર તરફથી 10 હજાર, કાચા-પાકા મકાનોમાં નુકસાન માટે 25 હજરાની સહાય ચુકવામાં આવશે. નોંધનીય છે કે, તાઉ-તે વાવાઝોડાને કારણે જિલ્લામાં ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. જે માટે તેમને સહાય કરવામાં આવશે.