રાજકોટ માં કોરોનામાં અનાથ થયેલા ૪૪ બાળકોની અરજી મળી,

રાજકોટ માં કોરોનાકાળમાં મુત્યુ પામેલા માતા-પિતા બંને ગુમાવનાર અનાથ-નિરાધાર બાળકોને આર્થિક આધાર-શિક્ષણ-આરોગ્ય-ઉચ્ચ અભ્યાસ-રોજગારી-તાલીમ-વિદેશ અભ્યાસ માટે લોનમાં પણ અગ્રક્રમ આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો હતો. બાલ સેવા યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કાર્યરત છે. ૧૮ વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને માતા-પિતા બંનેનું કોરોનામાં અવસાન થયું હોય તેવા બાળકોને દર મહિને બાળકદિઠ રૂ.૪૦૦૦ ની સહાય અપાશે. તેમ જ ૧૮ વર્ષ કે તેથી મોટા બાળકોનો અભ્યાસ ચાલુ હશે તો તેમને ૨૧ વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં બાળકદિઠ માસિક રૂ.૬૦૦૦ ની સહાય આપવામાં આવશે. આ અંતર્ગત રાજકોટ જીલ્લામાં કુલ-૪૪ અરજીઓ મળી છે. જેમાં માતા-પિતા ગુમાવનાર ૦ થી ૫ વર્ષના ૩ બાળકો, ૬ થી ૧૦ વર્ષના ૧૧ બાળકો અને ૧૧ થી ૧૮ વર્ષના ૩૦ બાળકોનો સમાવેશ થાય છે. આ સાથે માતા કે પિતા બે માંથી કોઈ એકનું મૃત્યુ થયું હોય તેવા ૧૯૩ બાળકોની પણ અરજી મળી છે. જેમાં ૦ થી ૫ વર્ષના ૨૭ બાળકો, ૬ થી ૧૦ વર્ષના ૫૮ બાળકો અને ૧૧ થી ૧૮ વર્ષના ૧૦૮ બાળકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે માતા કે પિતા બે માંથી કોઈ એકનું મૃત્યુ થયું હોય તેવા બાળકો માટે હાલ સહાયની કોઈ જોગવાઇ નથી. છતાં તેઓની અરજી મળી હોય સ્થાનિક તંત્રએ સરકારના ધ્યાને મૂકી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.