રાજકોટ માં રાજવી પરિવારની મિલકતના મામલે કોર્ટે ૩૦ ઓગષ્ટે સુનાવણી મુકરર કરાઈ છે.

રાજકોટ માં રાજ પરિવારની તમામ સંપત્તિમાં હક-હિસ્સો મેળવવા બહેન અંબાલિકાદેવીએ છેતરપિંડીના આક્ષેપ સાથે માંધાતાસિંહ, તેમના માતા અને અન્ય ૨ બહેનો સહિત ૪ સામે સિવિલ કોર્ટમાં કરેલા વિવિધ દાવામાં આજે પ્રથમ સુનાવણીમાં માંધાતાસિંહ તરફે જવાબ રજૂ કરવા ૩૦ ઓગષ્ટ મુકરર કરાઇ છે. અંબાલિકાદેવીએ સિવિલ કોર્ટમાં દાવામાં જણાવ્યું છે કે, તે જૂન-૨૦૧૯ માં માતાને મળવા માટે રાજકોટ આવતા તે સમયે માંધાતાસિંહે કહ્યું હતું કે, પેલેસ રોડ પર જે આશાપુરા મંદિર છે. તે જગ્યા વડીલોપાર્જિત છે. અને પોતે સાર સંભાળ કરે છે. મંદિર સિટી સરવે નં.૧૧૦૯ વોર્ડનં.૫ માં છે. અને ૧૩૯૬ ચોરસ મીટર જગ્યા છે. મંદિરની સાર સંભાળમાં ભવિષ્યમાં સહ માલિક તરીકે સહીની જરૂર ન પડે અને કાયદાકીય અડચણ ઊભી ન થાય તેવું કહીને મંદિરની જગ્યા માટે રિલીઝ ડીડ કરાવવા કહ્યું હતું. આ માટે ૧.૫ કરોડ રૂપિયા આપ્યા હતા. જેમાંથી ૧૦ લાખ R.T.G.S.A થી જ્યારે ૧.૪૦ કરોડ રૂપિયાનો ડ્રાફ્ટ પેલેસ રોડ સ્થિત ICICI બેંકનો આપ્યો હતો. તે વખતે વડીલોપાર્જિત મિલકતમાં હિસ્સો જાળવી રાખશે અને પ ભાગે આવતી મિલકતો નામે કરાવી આપશે તેવું વચન આપીને રિલીઝ ડીડ અને બે પાવર ઓફ એટર્ની કરાવી હતી. અંબાલિકાદેવીએ દાવામાં એમ પણ જણાવ્યું હતું કે, પોતાને અંધારામાં રાખીને એક ભાઈ-બહેનના સંબંધ ઉપર વિશ્વાસઘાત કરી બહેન પાસેથી ખોટી રીતે સંમતિ મેળવી લીધી છે. જે બંધનકર્તા નથી. આ દાવા અંગેની પહેલી સુનાવણી સ્પે.સિવિલ કોર્ટમાં આજે રાખવામાં આવતા તેમાં સામાવાળા માંધાતાસિંહ વતી એડવોકેટ પ્રફૂલ્લભાઈ દોશીએ હાજર થઇને જવાબ માટે મુદત માંગતા સિવિલ જ્જ દ્વારા ૩૦ ઓગષ્ટની તારીખ અપાઇ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.