સહાય મુદ્દે કમલનાથનો PM મોદીને ટોણો, ‘તમારી સંવેદના ગુજરાત પૂરતી સીમિત કેમ?’

કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાના કારણે મોતને ભેટેલા લોકો માટે રાહત ફંડની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાંથી રૂ. બે લાખની જ્યારે ઘાયલોને રૂ. 50 હજારની સહાય ચુકવવામાં આવશે. આવી જાહેરાત બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. જોકે, ગુજરાતમાં સહાયની જાહેરાતની એક કલાક બાદ કેન્દ્ર સરકારે તમામ રાજ્ય માટે સહાયની જાહેરાત કરી છે.
આ પહેલા કમલનાથે એક ટ્વિટ કરીને લખ્યું કે, “મોદી જી, તમે દેશના વડાપ્રધાન છો, ગુજરાતના નહીં. મધ્ય પ્રદેશમાં પણ કમોસમી વરસાદ, તોફાન અને વીજળી પડવાને કારણે 10થી વધારે લોકોનાં મોત થયા છે. તમારી સંવેદના ફક્ત ગુજરાત પૂરતી સીમિત કેમ? ભલે અહીં તમારી પાર્ટીનું શાસન ન હોય પરંતુ લોકો તો અહીં પણ રહે છે.”
વરસાદ અને તોફાનને કારણે ત્રણ રાજ્યમાં 34નાં મોત
દેશના અનેક રાજ્યમાં કમોસમી વરસાદ, તોફાન અને વીજળી પડવાને કારણે ભારે નુકસાન થયું છે. ત્રણ રાજ્ય મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં 34 લોકોનાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનમાં તોફાનને કારણે નવ લાકોનાં મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. મંગળવારે સાંજે રાજસ્થાનમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. બાદમાં અનેક શહેરમાં વરસાદ અને કરા પડ્યા હતા.
ઉદયપુરમાં સૌથી વધારે નુકસાન થયું હતું. મધ્ય પ્રદેશમાં તોફાનને કારણે 16 લોકોમાં મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
Source: News 18