જૂનાગઢ : વડાલ ગામના ખેડૂત ના પ્રાકૃતિક ખેતીના અનુભવો જાણવા જેવા છે…

જૂનાગઢના વડાલ ગામના ખેડૂત શ્રી હિતેશભાઈ દોમડીયાના પ્રાકૃતિક ખેતીના અનુભવો જાણવા જેવા છે…
કુલ ૫૦ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા વીધે ૪૦ થી ૫૦ હજારની કમાણી કરતા હિતેશભાઈ
કૃષિ ઉત્પાદન મેળવવા પાકમાં એક સમયે ૧૦ થી ૧૫ જંતુનાશક દવાઓના ડોઝનો છંટકાવ કરતા: હવે છેલ્લાં ૮ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
હિતેશભાઈ ૨ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન-પ્રેરિત કરી ચૂક્યા છે
પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવવા પ્રાકૃતિક ખેતીના મૂળ સિદ્ધાંત અનુસરવા જરૂરી
ઉત્પાદનમાં ઘટાડા અને વધુ ખેતી ખર્ચના લીધે એક સમયે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવશે
ખાસ અહેવાલ: રોહિત ઉસદડ
જૂનાગઢ : જૂનાગઢની ભાગોળે આવેલ વડાલ ગામના ખેડૂત શ્રી હિતેશભાઈ દોમડીયાના પ્રાકૃતિક ખેતીના અનુભવો જાણવા જેવા છે, ૨૦ વીઘા પોતાની અને ૩૦ વીઘા સાખે રાખી કુલ ૫૦ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરતા હિતેશભાઈ એક વીઘે જુદા જુદા પાકોમાંથી ૪૦ થી ૫૦ હજારની કમાણી કરી રહ્યા છે. કૃષિ અંગે એક તજજ્ઞ જેટલું જ જ્ઞાન ધરાવતા હિતેશભાઈ બે લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત-પ્રેરિત કરી ચૂક્યા છે. આમ, જિલ્લામાં પ્રાકૃતિક ખેતિની મુહિમને આગળ વધારવા માટે પણ ખૂબ યોગદાન આપી રહ્યા છે.
તેઓ કહે છે કે, પ્રાકૃતિક કૃષિનું ભવિષ્ય ખૂબ ઉજળું છે, પ્રાકૃતિક ખેત પેદાશો માટે લોકોમાં એક જાગૃતિ જોવા મળી રહી છે તેના લીધે આ પેદાશોની માંગમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
હિતેશભાઈએ વારસામાં ખેતી સંભાળી ત્યારથી વાત કરતા કહે છે કે, પરંપરાગત રીતે મગફળી અને ઘઉંની ખેતી કરતા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને અન્ય નિષ્ણાંતોના માર્ગદર્શન બાદ ટેટી, ટમેટા, કાકડી, તરબૂચ વગેરે પાકોની ખેતી શરૂ કરી. તેનો શરૂઆતમાં ખૂબ લાભ મળ્યો. પરંતુ વર્ષો વર્ષ આ પાકોમાં સારું ઉત્પાદન મેળવવા માટે જંતુનાશક દવાઓના ડોઝમાં વધારો કરવો પડ્યો. એક સમયે એક પાક લેવા માટે ૧૦ થી ૧૫ વખત જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો પડતો. આમ, દવાઓ વધુ છંટકાવથી અને ખાતરના ઉપયોગ ઉપરાંત મજૂરી વગેરેને જોડતા ખેતી ખર્ચમાં ખૂબ મોટો વધારો થવા પામ્યો. ખેતીની આ સ્થિતિમાં જૈવિક ખેતી તરફ પણ વળ્યા.
ખેતી વિશેની નવીન બાબતો જાણતા રહેતા. જેમાં પ્રાકૃતિક ખેતી વિશે પણ જાણ્યું અને શિબિરના માધ્યમથી તેનો અભ્યાસ કર્યો. પ્રાકૃતિક ફાર્મ્સની રૂબરૂ મુલાકાતો કરી. પ્રાકૃતિક ખેતી શરૂ કરી.
તેઓ નિખાલસ ભાવે કબુલ કરે છે કે, શરૂઆતમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટશે તેઓ સંશય રહેતો હતો. પરંતુ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન પર નહીવત અસર રહી હતી.
છેલ્લા આઠેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા શ્રી હિતેશભાઈ કહે છે કે પ્રાકૃતિક ખેતીના મૂળ સિદ્ધાંતો અનુસરવામાં ન આવે તો નિષ્ફળતા મળી શકે. જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને મિશ્ર પાકતી ખેતી, અચ્છાદન (મલચિંગ) અને પાકના વાવેતર માટે માટીથી જ બનેલો ખાસ પ્રકારનો બેડ. પ્રાકૃતિક ખેતીમાં આ બાબતોને અનુસરવી અનિવાર્ય છે.
કૃષિ પાકો ૯૮ ટકા જેટલું પોષણ વાતાવરણમાંથી મેળવે છે. ઉપરાંત અન્ય પોષણ ઘટકોમાં પાકના વિકાસ માટે પાણીની નહીં પણ ખરા અર્થમાં ભેજની જરૂરિયાત હોય છે. તેમજ કૃષિ પાકોના પોષણ માટે ઓક્સિજન અને બેક્ટેરિયાની જરૂરિયાત હોય છે. આમ, કૃષિ પાકોને ભેજ અને ઓક્સિજન મળી તે માટે પાકના વાવેતર માટે માટીનો ખાસ પ્રકારનો બેડ અને અચ્છાદન કરવું આવશ્યક છે. આમ, પ્રાકૃતિક ખેતીમાં પાણીની જરૂરિયાત ખૂબ ઓછી રહે છે.
ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અતિરેકના કારણે જમીનનો સેન્દ્રીય કાર્બન ખૂબ નીચો ગયો છે. એક સમયે આપણી જમીનનો સરેરાશ સેન્દ્રીય કાર્બન ૨.૫ ટકા જેટલો હતો. જે હવે ૦.૫ સુધીનો જોવા મળી રહ્યો છે. આમ, જમીનની ફળદ્રુપતા ઘટવાથી ઉત્પાદન પર અસર વર્તાઈ રહી છે. આમ, ઉત્પાદનમાં ઘટાડા અને વધુ ખેતી ખર્ચના લીધે એક સમયે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવી અનિવાર્ય થઈ જશે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને ગુજરાત સરકાર પણ પ્રાકૃતિક ખેતીની મુહિમને આગળ વધારી રહી છે, આ પ્રયાસોથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. ઉપરાંત સ્થાનિક કક્ષાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાના ઉત્પાદનો વેચવા માટે માર્કેટ મળી રહે તે માટે એક અલાયદી વ્યવસ્થા પણ કરી છે. વધુમાં એક પ્રાકૃતિક કૃષિ મોલ પણ જૂનાગઢમાં બનવા જઈ રહ્યો છે. જેનો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પણ તેનો લાભ મળશે.
ખેડૂતોએ ગાયો રાખવાની આ વ્યવસ્થા આપનાવવી જોઈએ
હિતેશભાઈ પ્રાકૃતિક ખેતીના અનિવાર્ય ભાગ એવા ગાયોનું ખૂબ જતન કરી રહ્યા છે. વડાલ ગામની ગૌશાળાની સંચાલનની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. તેઓ ખેડૂતોને ગાય રાખવા માટે જે સાનુકૂળતા છે તેનો ઉકેલ આપતા કહે છે કે, ગાયને એક ખુલ્લી જગ્યામાં રાખવી જોઈએ. આ જગ્યાને ફરતી કોર્ડન કરી લેવી. અને આ જગ્યામાં ગાય માટે એક ગમાણમાં સૂકો અને બીજી ગમાણમાં લીલો ઘાસચારો અને એક પીવાના પાણીની કુંડી રાખી દેવી જોઈએ. જેથી ગાયને અવારનવાર નીરણ નાખવા કે પાણી પાવા માટે તને સમય ફાળવવો પડતો નથી. આમ, ગાય પણ મુક્ત રીતે હરી-ફરી શકે છે. જરૂરિયાત મુજબ નીરણ આરોગી કે પાણી પી શકે છે. હિતેશભાઈ એ પણ પોતાની વાડીએ આ પ્રકારે ગાયોને રાખવાની વ્યવસ્થા કરી છે. આમ, ખેડૂતો સહિત દરેક લોકો પાસે આજે સમયનો અભાવ છે, ત્યારે આ વ્યવસ્થા ખેડૂતોને કામ લાગે તેવી છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300