હળવદના ચરાડવા ખાતે બે માસ અગાઉ બનેલો સીસી રોડ તુટી ગયો : ભ્રષ્ટાચારની રાવ

જગદીશ પરમાર, હળવદ
છેવાડાના ગામોમાં લોકોને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ૧૪માં નાણાપંચ અંતર્ગત નાણાં ચુકવવામાં આવે છે ત્યારે તાલુકાના ચરાવવા (ગોકુળીયા) ગામે બે માસ અગાઉ બનેલા આરસીસી રોડ તુટી જતાં ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ ઉઠી છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામ પંચાયતમાં ૧૪મુ નાણાપંચ અંતર્ગત ગોકુળીયામાં ૨,૪૦ લાખના ખર્ચે બે માસ અગાઉ આરસીસી રોડ બનાવવામા આવ્યો હતો જેમાં દુધની ડેરીથી ઓધવજીભાઈના ઘર સુધી બનાવેલા રોડમાં એસ્ટીમેટ મુજબનુ કામ કરવામાં નહીં આવતા ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે.ચરાડવાના ગોકુળીયામાં ગ્રામ પંચાયત દ્વારા રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારે ”વાડ જ ચીંભડા ગળે તો ચોર ક્યાથી પકડાઈ” તેવી સ્થિતિ ઉદભવી છે જેમાં બે માસ પહેલા જ આરસીસી રોડ બનતો હતો ત્યારે જ સ્થાનિક લોકોએ એસ્ટીમેટ મુજબની કામગીરી થતી નહીં હોવાની ફરિયાદો કરી હતી ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવતા બે માસ પુર્વ જ ૨,૪૦ લાખના ખર્ચે બનાવેલો આરસીસી રોડમાં કપચી ઉખડી જતાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો હતો.