વડાપ્રધાન શ્રી ના નેતૃત્વમાં બીજથી બજાર સુધી સરકાર ખેડૂતોની સાથે છે: મુખ્યમંત્રીશ્રી

વડાપ્રધાન શ્રી ના નેતૃત્વમાં બીજથી બજાર સુધી સરકાર ખેડૂતોની સાથે છે: મુખ્યમંત્રીશ્રી
Spread the love

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની બિહારથી પ્રેરક વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં

ગુજરાતના ૫૧.૪૧ લાખથી વધુ કિસાન પરિવારોને ૧૧૪૮ કરોડ રૂપિયાની સહાય કિસાન સન્માન નિધિ અન્વયે મળી

મુખ્યમંત્રીશ્રી – કૃષિ મંત્રીશ્રી – કૃષિ રાજ્ય મંત્રીશ્રી અને પદાધિકારીઓ સહિત રાજ્યના ૨.૫૦ લાખથી વધુ ખેડૂતોએ પ્રધાનમંત્રીશ્રીનું વર્ચ્યુઅલ સંબોધન નિહાળ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના કિસાન સન્માન સમારોહ અન્વયે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો

અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કૃષિ પ્રગતિ – કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – વેબ પોર્ટલ – મોબાઈલ એપનું ઈ-લોકાર્પણ – કૃષિ એવોર્ડ વિજેતા ધરતીપુત્રોનું સન્માન

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બીજથી બજાર સુધી સરકાર ખેડૂતોની સાથે છે: મુખ્યમંત્રીશ્રી

_:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:_

* કિસાન સન્માન નિધિ દેશના નાના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની છે.
* નિયત નેક અને સેવાની ભાવના હોય તો કિસાનહિત અને જનહિતના કામો કેવી ગતિએ થાય તે વડાપ્રધાનશ્રીએ દુનિયાને બતાવ્યું છે.
* કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે રાજ્યના આ વર્ષના બજેટમાં ૨૨,૪૯૮ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
* કિસાન ક્રેડિટ કાર્ડની ધિરાણ મર્યાદા કેન્દ્ર સરકારની પેટર્ન મુજબ ત્રણ લાખ રૂપિયાથી વધારી પાંચ લાખ કરી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની બિહારના ભાગલપુરથી વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતના ૫૧.૪૧ લાખથી વધુ કિસાન પરિવારોને ૧૧૪૮ કરોડ રૂપિયાની સહાય કિસાન સન્માન નિધિના ૧૯માં હપ્તા અન્વયે ડી.બી.ટી.થી ચૂકવવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યભરના ૨.૫૦ લાખથી વધુ ખેડૂતોએ વડાપ્રધાનશ્રીના સંબોધનનું અને રાજ્યવ્યાપી સમારોહનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

વડાપ્રધાનશ્રીએ દેશના ખેડૂતોની આવક વધારવા અને ખેડૂતોને સહાયરૂપ થવાના કિસાન હિતકારી અભિગમથી ૧૦૦ ટકા કેન્દ્ર સહાયિત આ કિસાન સન્માન નિધિ યોજના ૨૦૧૯થી જાહેર કરેલી છે.

આ યોજના અંતર્ગત કિસાન પરિવારોને પ્રતિવર્ષ કુલ ૬ હજાર રૂપિયાની સહાય ડી.બી.ટી.થી ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતના લાભાર્થી ખેડૂતોના ખાતામાં સમગ્રતયા ૧૮૮૧૩.૭૧ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પણ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.

કેન્દ્ર સરકારે ૨૦૨૪-૨૫ માટે તુવેરનો ટેકાનો ભાવ ૭૫૫૦ પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે. તદ્દઅનુસાર રાજ્યમાં ૨૦૦ જેટલા ખરીદ કેન્દ્રો પરથી ૨.૬ લાખ મેટ્રિક ટન તુવેરના જથ્થાની ખરીદી કરવાનું આયોજન છે. આ હેતુસર અત્યાર સુધીમાં ૧ લાખ ૨૩ હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી પણ કરાવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સરકાર બીજથી બજાર સુધી ખેડૂતોની સાથે ઊભી રહી છે. નાના ખેડૂતો માટે કિસાનહિત અભિગમથી શરૂ થયેલી કિસાન સન્માન નિધિ યોજના તેમના માટે આશીર્વાદરૂપ બની છે.

તેમણે કહ્યું કે, જો નિયત નેક અને સેવાની ભાવના હોય તો કિસાન હિતકારી અને જનસેવા લક્ષી કામો કેવી ગતિએ થઈ શકે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ ચીંધેલા માર્ગે ચાલીને રાજ્ય સરકારે પણ સમગ્ર કૃષિ ક્ષેત્રને સમયાનુકૂળ બનાવવા અનેક પહેલ કરી છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષના બજેટમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે ૨૨,૪૯૮ કરોડ રૂપિયાની જોગવાઈઓ સુનિશ્ચિત કરી છે તેમ પણ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, કિસાન ક્રેડિટ કાર્ડની ધિરાણ મર્યાદા પણ કેન્દ્ર સરકારની પેટર્ન મુજબ ૩ લાખથી વધારીને ૫ લાખ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ કિસાન સન્માન સમારોહના પ્રારંભે અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કૃષિ પ્રગતિ- કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઈલ એપનું ઈ-લોકાર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ, રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કૃષિ એવોર્ડ વિજેતા ધરતીપુત્રોનું સન્માન ગૌરવ પણ કર્યું હતું.

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકારનો અભિગમ હરહંમેશથી કૃષિ અને ખેડૂત હિતલક્ષી રહ્યો છે.

ગુજરાતના ખેડૂતોને બિયારણની ખરીદી અને વાવણીથી લઈને ઉત્પાદનોના વેચાણ સુધીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન જરૂરી તમામ સહાય, સુરક્ષા અને મદદ પૂરી પાડવા માટે રાજ્ય સરકારે તત્પરતા સાથે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. વાવણી માટે બિયારણ, ખેતી માટે ઔજારો-યાંત્રિક સાધનો, યુરિયા, પરિવહન માટે વાહન અને વેચાણ માટે ટેકાના ભાવે ખરીદી સુધીની તમામ સુવિધાઓ ગુજરાતમાં વિકસી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ સંદર્ભે તેમણે કહ્યું કે, ગુજરાત સરકારે કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા ગત વર્ષે ૩.૭ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૧,૪૫૬ કરોડની સહાય તેમજ ટ્રેક્ટરની ખરીદી માટે રાજ્યના ૧.૭ લાખથી વધુ ખેડૂતોને રૂ.૬૮૬ કરોડથી વધુની સહાય આપી છે. એટલું જ નહીં, ગત વર્ષે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરીને રાજ્યના ૭.૩૧ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૧,૪૦૪ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.

આ કિસાન સન્માન સમારોહમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંજુ શર્મા, પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિજય ખરાડી, ગાંધીનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાતના ખેતી નિયામકશ્રી સહિત કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!