પીએમ સૂર્યઘર યોજનામાં ૪૦ ટકા યોગદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમ

પીએમ સૂર્યઘર યોજનામાં ૪૦ ટકા યોગદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમ
Spread the love

પીએમ કુસુમ યોજના હેઠળ ખેતરમાં સોલાર પંપ સ્થાપિત કરવાથી સિંચાઈ માટે ખેડૂતોની પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટશે: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ

ગુજરાતે જંગલ વિસ્તારના ખેડૂતોને પીએમ કુસુમ યોજના હેઠળ સોલાર પંપ આપવા માટે ખાસ જોગવાઈ કરી છે: ઊર્જા મંત્રીશ્રી

પીએમ કુસુમ યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં નર્મદા જિલ્લાના ૩,૪૦૨ ખેડૂતોને રૂ. ૧૪,૮૬૦ લાખની સહાય અપાઈ

પીએમ સૂર્યઘર યોજનામાં ૪૦ ટકા યોગદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમ

વિધાનસભા ગૃહ ખાતે “પીએમ કુસુમ યોજના” અંગે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પીએમ કુસુમ યોજના હેઠળ ખેતરમાં સોલાર પંપ સ્થાપિત કરવાથી સિંચાઈ માટે ખેડૂતોની પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટશે. સાથે જ, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાથી પર્યાવરણને અનુકૂળ સૌર ઊર્જાનો ઉપયોગ કરવામાં પણ મદદ મળશે.

આ સંદર્ભે મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, પીએમ કુસુમ યોજના હેઠળ ૭.૫ હોર્સ પાવરની ક્ષમતા ધરાવતા સૌર ઊર્જા આધારિત – સોલાર પંપ સ્થાપિત કરવા માટે ભારત સરકાર તરફથી કુલ ખર્ચના ૩૦ ટકા અને રાજ્ય સરકાર તરફથી ૩૦ ટકા મળી, કુલ ૬૦ ટકા સબસીડી આપવામાં આવે છે. જ્યારે, બાકીનો ૪૦ ટકા ખર્ચ ખેડૂતોએ કરવાનો રહે છે.

આ યોજના હેઠળ આપવામાં આવતી વધારાની સહાય અંગે મંત્રી શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના જંગલ વિસ્તારના ખેડૂતોને પીએમ કુસુમ યોજના હેઠળ સોલાર પંપ સેટ આપવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, કોઈ ખેડૂતને વીજજોડાણ આપવા માટે વીજલાઈન વન વિસ્તારમાંથી પસાર કરવાની થાય અથવા પરંપરાગત વીજજોડાણ આપવું શક્ય ન હોય, ત્યારે આવા ખેડૂતોને ૪૦ ટકા ફાળાના બદલે માત્ર રૂ. ૬,૫૦૦ થી રૂ. ૧૨,૦૦૦ હોર્સ પાવર પ્રમાણેનો ફિક્સ ચાર્જ ભરીને સોલાર પંપ સેટ આપવામાં આવે છે. જ્યારે, બાકીનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા વધારાની સબસીડી તરીકે આપવામાં આવે છે.

આ ઉપરાંત આદિજાતિ વિસ્તારના ખેડૂતોને સૌર ઊર્જા સંચાલિત પંપ-સેટ માટેના ફિક્સ ચાર્જ ભરવામાંથી પણ મુક્તિ આપવામાં આવે છે. એટલે કે, આ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ખેડૂતોએ કોઈ જ રકમ ભરવાની રહેતી નથી, તેમ તેમણે ઉમેર્યું હતું.

વિધાનસભા ખાતે રજૂ કરાયેલી વિગતો અનુસાર પીએમ કુસુમ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં નર્મદા જિલ્લાના ૩,૪૦૨ ખેડૂતોને રૂ. ૧૪,૮૬૦ લાખ, વલસાડ જિલ્લાના ૪૪૯ ખેડૂતોને રૂ. ૧,૭૬૮ લાખ, બનાસકાંઠા જિલ્લાના ૩૫૬ ખેડૂતોને રૂ. ૧,૪૯૦ લાખ, છોટા ઉદેપુર જિલ્લાના ૧૮૯ ખેડૂતોને રૂ. ૫૯૧ લાખ, તાપી જિલ્લાના ૧૬૧ ખેડૂતોને રૂ. ૬૮૭ લાખ તેમજ ગીર સોમનાથ જિલ્લાના ૧૨૩ ખેડૂતોને રૂ. ૬૩૦ લાખથી વધુની સહાય આપવામાં આવી છે.

મંત્રીશ્રી વિધાનસભા ખાતે કહ્યું હતું કે, સોલાર પાવરને પ્રોત્સાહન આપીને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે ગુજરાત પ્રયત્નશીલ છે. આજે પીએમ સૂર્યઘર યોજનામાં ૪૦ ટકા યોગદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!