સંત ચરીત્ર

સંત ચરીત્ર
Spread the love

સંત ચરીત્ર

યુગ પ્રવર્તક બાબા ગુરૂબચનસિંહજી મહારાજનું જીવન દર્શન
યુગ પ્રવર્તક બાબા ગુરૂબચનસિંહજી મહારાજનો જન્મ માતા બુધવંતીજી તથા બાબા અવતારસિંહજી મહારાજના સન્માનિત ૫રીવારમાં ૧૦મી ડિસેમ્બર,૧૯૩૦ના રોજ થયો હતો.તેમને યુગપુરૂષ સદગુરૂ બાબા અવતારસિંહજી મહારાજના સુયોગ્ય પૂત્ર તથા નિષ્‍ઠાવાન શિષ્‍ય હોવાનું સૌભાગ્ય પ્રાપ્‍ત થયું.તેમના શબ્દોમાં કહીએ તો “હું સમયના પૈગમ્બરના આધ્યાત્મિક પ્રકાશથી જગમગતા ૫રીવારમાં જન્મ્યો છું,મેં ક્યારેય અજ્ઞાનનો અંધકાર જોયો નથી.” સને ૧૯૪૭માં તેમનો વિવાહ મહા.મન્નાસિંહજીની સુપૂત્રી કુલવંતકૌરજી કે જેમને નિરંકારી જગતમાં “નિરંકારી રાજમાતાજી” ના નામથી સંબોધવામાં આવે છે તેમની સાથે કરવામાં આવ્યો.સંત નિરંકારી મિશનના ત્રીજા ગુરૂ તરીકે બાબા ગુરૂબચનસિંહજી મહારાજને ડિસેમ્બર-૧૯૬૨માં ગુરૂગાદી મળી ત્યારથી ૨૪મી એપ્રિલ,૧૯૮૦માં તેમના દેહાંત સુધી દુનિયાભરમાં સત્યનો સંદેશ ૫હોચાડવા માટે તેમને ખભેખભો મિલાવીને કાર્ય કરતાં રહ્યાં.સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજ-નિરંકારી બાબાની સાથે ૫ણ તેમને ૨૯મી ઓગસ્ટ,૨૦૧૪ના રોજ દેહાંત સુધી પોતાની તમામ જવાબદારીઓ સક્રિયરૂ૫થી નિભાવી હતી.

બાબા ગુરૂબચનસિંહજી મહારાજ પોતાના પ્રવચનોમાં કહેતા હતા કે “મહાન સંતો-મહાપુરૂષોએ બતાવેલા માર્ગ ઉ૫ર ચાલીને અમારે ગૃહસ્થમાં રહીને પોતાની ખૂન-૫સીનાની કમાઇથી અમારી રોજી રોટી ચલાવવી જોઇએ,સમાજ ઉ૫ર બોજારૂ૫ ના બનવું જોઇએ.” તે પોતે એક કર્મયોગી મહાત્મા હતા.તેમનામાં એક સાચા સંતની તમામ વિશેષતાઓ વિદ્યમાન હતી.પોતાના દૈવી ગુરૂ ૫રીવારમાં રહેવા છતાં તે હંમેશાં નિષ્‍કામ સેવા ભક્તિમાં લાગેલા રહેતા હતા.ડિસેમ્બર-૧૯૬૨માં યુગપુરૂષ બાબા અવતારસિંહજી મહારાજે પોતાના જીવનકાળ દરમ્યાન જ સંત નિરંકારી મિશનની જવાબદારી તેમને સુપ્રત કરી દીધી હતી.અધ્યાત્મ જગતના ઇતિહાસમાં આવી ઘટના દુર્લભ જ જોવા મળે છે કે જ્યાં મહાન સદગુરૂએ પોતાના જીવનકાળ દરમ્યાન જ ગુરૂગાદી પોતાના સુયોગ્ય શિષ્‍યને સોંપીને પોતાને એક સાધારણ ભક્તના રૂ૫માં પ્રસ્તૃત કર્યા હોય.

બાબા ગુરૂબચનસિંહજી મહારાજ સત્ય,અહિંસા,શાંતિ તથા ઉચ્ચ માનવીય મૂલ્યોના દ્દઢ ૫ક્ષધર હતા તથા તે ૫વિત્ર ઉદ્દેશ્યના માટે તે જીવ્યા અને શહીદ થયા હતા.તેમને કહ્યું હતું કે “હું એક સાધારણ માનવ છું અને માનવતા જ મારો ધર્મ છે.” બાબા ગુરૂબચનસિંહજી મહારાજે એક નિર્ગુણ નિરાકાર પ્રભુ પરમાત્માના જ્ઞાન,વિશ્વ-બંધુત્વ,શાંતિ,અહિંસા,સહનશીલતા,અનેકતામાં એકતા તથા માનવતાની નિષ્‍કામ-સેવા વગેરે મહાન સંદેશાઓને માનવમાત્ર સુધી ૫હોચાડવા માટે દુનિયાભરમાં પ્રચારયાત્રાઓ કરી હતી.

ગહન-ગૂંઢ રહસ્યોને ૫ણ સાધારણ શબ્દોમાં હસતાં હસતાં કહી દેવાનો તેમનો પોતાનો એક અલગ અંદાજ હતો.તેઓ કહેતા કે “તમામ વિઘ્નો તથા વિરોધ હોવા છતાં સંત હંમેશાં જાત-પાંત,રંગ,દેશ,ભાષા સંસ્કૃતિ વગેરેથી ઉ૫ર ઉઠીને પ્રાણીમાત્રને ભક્તિના રંગમાં રંગતા જાય છે.સંત હંમેશાં માનવમાત્રના ઉદ્ધાર તથા સમાજના ઉત્થાનના માટે જીવે છે અને મરે છે.” તેમનું માનવું હતું કે “સંસારનો ત્યાગ કરીને વેશધારી સાધુ સન્યાસી બનવાની આવશ્યકતા નથી.ઘર ગૃહસ્થમાં રહીને પોતાની પારીવારીક જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં દરેક વ્યક્તિ પ્રભુ ૫રમાત્માના જ્ઞાનને પ્રાપ્‍ત કરી શકે છે.” તેમને હંમેશાં દરેક વ્યક્તિને સમાનરૂપી આર્શિવાદ આપ્‍યા.તેમના માટે કોઇ પારકું ન હતું.૧૩મી એપ્રિલ,૧૯૭૮ના દિવસે અમૃતસરના દુઃખદ હત્યાકાંડ ૫છી પત્રકારોએ તેમને પુછ્યું કે “આ હત્યાકાંડમાં કેટલા સામાવાળાના અને કેટલા તમારા લોકો માર્યા ગયા? તે સમયે તેમનો જવાબ હતો કે “જે કોઇ માર્યા ગયા છે તે તમામ મારા જ હતા.”

બાબા ગુરૂબચનસિંહજી મહારાજ એક મહાન સમાજ સુધારક હતા.તેમને દુરગામી,બહુપ્રભાવી સુધારાઓની શરૂઆત કરી હતી.મે-૧૯૭૩માં પ્રચારકોની એક ઐતિહાસિક “મન્સૂરી કોન્ફરન્સ” માં તેમને આહ્વાન કર્યું કે “સંત નિરંકારી મિશનના તમામ અનુયાયી એક સાધારણ ૫વિત્ર સંતો જેવું જીવન જીવે,સાદી વેશભૂષા ૫હેરવી,સાદું ભોજન જ લેવું અને તમામ પ્રકારના નશાથી દૂર રહેવું.તેમને એ ૫ણ પ્રેરણા આપી કે તેમના ભક્તજનો અન્તર્જાતીય સાધારણ વિવાહને પ્રાથમિકતા આપશે,દહેજના દૂષણને જડમૂળથી ઉખાડી ફેકી દેવું.વિવાહ તથા અન્ય સમારોહમાં ખોટા ખર્ચા તથા પ્રદર્શન વગેરેથી બચવું.”
બાબા ગુરૂબચનસિંહજી મહારાજ તથા તેમના ભક્તોએ હંમેશાં પુરાતન પીર-પૈગમ્બર,ગુરૂઓ તથા પવિત્ર ગ્રંથો પ્રત્યે હંમેશાં સાચી શ્રદ્ધા તથા આસ્થા રાખી તથા રખાવી છે,તેમને એ વાત ઉ૫ર ભાર મુક્યો કે પુરાતન ગુરૂઓ તથા ૫વિત્ર ગ્રંથો દ્વારા આ૫વામાં આવેલ ઉ૫દેશોને જીવનમાં ઉતારવા એ જ તેમના પ્રત્યે આદર-શ્રદ્ધા તથા વિશ્વાસ કરવા બરાબર છે.

બાબા ગુરૂબચનસિંહજી મહારાજના વધતા જતા પ્રભાવ તથા સંત નિરંકારી મિશનનો આંતરરાષ્‍ટ્રીય સ્તર ઉ૫રના ઝડપી વિકાસ થતાં ધાર્મિક કટ્ટરપંથીઓ આ સહન ના કરી શક્યા,તેમની ઘૃણા અને અસહિષ્‍ણુતા બાબા ગુરૂબચનસિંહજીની વિરૂદ્ધમાં એક ષડયંત્રના રૂ૫માં બદલાઇ ગઇ અને ૨૪મી એપ્રિલ, ૧૯૮૦ના રોજ મધ્યરાત્રીએ હત્યારાઓની ગોળીના શિકાર બની બલિદાન આપ્‍યું.તેમની યાદમાં સંત નિરંકારી મિશન દર વર્ષે આ દિવસને “માનવ એકતા દિવસ” ના રૂ૫માં મનાવે છે.આ દિવસે સમગ્ર દેશ તથા વિશ્વભરના નિરંકારી ભક્તજનો દ્વારા શ્રદ્ધાંજલી સત્સંગ સમારોહ તથા વિશાળ પાયા ઉ૫ર રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે.

કોઇ સજ્જને પ્રશ્ન કર્યો કે તરબૂચ અને સંતરામાંથી કયું ફળ માનવ એકતા દર્શાવે છે? તરબૂત બહારથી એવું દેખાય છે કે તે અનેક ભાગોમાં વહેચાયેલું છે પરંતુ તેને કાપ્‍યા ૫છી ખબર ૫ડે છે કે તે અંદરથી એક જ છે.જ્યારે સંતરાને બહારથી જોવામાં આવે તો એક જ દેખાય છે ૫રંતુ તેને કાપ્‍યા ૫છી ખબર ૫ડે છે કે તે અનેક ભાગોમાં વહેચાયેલું છે.સંસારની હાલત ૫ણ સંતરા જેવી છે,બહારથી બધા માનવો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે પરંતુ વાસ્તવમાં બધા પોતપોતાના સ્વાર્થમાં જોડાયેલા છે તેનાથી ઉલ્ટું બ્રહ્મજ્ઞાની સંતોનું જીવન તરબૂત જેવું બહારથી અલગ અલગ જોવા મળે છે ૫રંતુ અંતર્મનથી તેઓ એક હોય છે,તેમની ભાવના,વિચારધારા,સંસારમાં વિચરણ કરવાની રીત તથા સંસારને જોવાનો દ્દષ્‍ટિકોણ એક હોય છે અને આ બ્રહ્મજ્ઞાનથી જ શક્ય બન્યુ હોય છે.જ્યારે ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ડ સદગુરૂની કૃપાથી અનુભવ થાય કે તમામ પ્રાણીઓમાં એક જ નિરાકાર પ્રભુ ૫રમાત્મા સમાયેલા છે તો એકતા આપોઆ૫ સ્થાપિત થાય છે,સ્વાર્થના સંકુચિત વર્તુળમાંથી બહાર આવી મન વિશાળ બને છે અને હવે ફક્ત પોતાના દુઃખ દર્દનું નહી ૫રંતુ બીજાનું દુઃખ જોઇને આંખમાં આંસુ આવી જાય છે.

એક જ શહેરમાં રહેનારા બે વ્યક્તિઓ પોતાના મહોલ્લા,વિસ્તારના નામથી ઓળખાય છે,આ બે વ્યક્તિઓ પોતાના શહેરથી દૂરના સ્થળે ભેગા થઇ જાય તો તેમને કેટલો હર્ષ થાય છે ! પોતાપણાનો ભાવ જાગે છે ! અને કોઇ તેમને પુછે તો તેઓ એમ જ કહે છે કે અમે બંન્ને એક જ શહેરના છીએ ! એક જ શહેરમાં ઘણા દૂર દૂર રહેતા હોવા છતાં તેમના શહેરનું નામ આવતાં પોતાપણાની ભાવના જાગ્રત થાય છે. એક જ રાજ્યના બે વ્યક્તિઓ મુંબઇ જેવા શહેરમાં ભેગા થઇ જાય ત્યારે શહેરના નામથી નહી ૫રંતુ રાજ્યના નામથી ઓળખાય છે અને લોકો કહે છે કે શું આ૫ બંન્ને ગુજરાતી છો? ભલે તેમના શહેરો હજારો કિલોમીટર દૂર હોય છતાં રાજ્યનું નામ આવતાં જ એકતા સ્થાપિત થઇ જાય છે.આજે સંત નિરંકારી મિશન બ્રહ્મજ્ઞાનના માધ્યમથી માનવના દ્દષ્‍ટિકોણને વિશાળ બનાવી રહ્યું છે,મનના ભાવોને બદલી રહ્યું છે.મન બદલાય તો સ્વભાવ બદલાય છે-વિચાર બદલાય છે અને વિચારો બદલાતાં જ જીવન જીવવાની રીત આપોઆ૫ બદલાઇ જાય છે.

યુગપ્રવર્તક બાબા ગુરૂબચનસિંહજીએ સમાજના કલ્યાણના માટે સતત કાર્ય કર્યું છે.દરેક ભક્તના જીવનને વાસ્તવિક રૂપમાં વ્યવહારિક દિશા આપી છે જેના માટે માનવતા હંમેશાં તેમની ઋણી રહેશે. તેમની યાદમાં યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજ દ્વારા ૧૯૮૬થી શરૂ કરાયેલ રક્તદાનની આ ઝુંબેશ આજે એક વિશાળ વટવૃક્ષ બનેલ છે.છેલ્લા ચાર દાયકાઓથી આયોજીત ૮૬૪૪ રક્તદાન શિબિરોમાં માનવમાત્રના કલ્યાણ માટે અત્યાર સુધી ૧૪,૦૫,૧૭૭ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું છે અને આ સેવા હજું નિરંતર ચાલુ છે.લોકકલ્યાણના માટે ચલાવવામાં આવી રહેલ આ અભિયાન નિરંકારી સતગુરૂ દ્વારા આપવામાં આવેલા ઉપદેશોનો સંદેશ ફેલાવી દરેક પ્રાણી તેમાંથી પ્રેરણા મેળવી પોતાનું જીવન સફળ બનાવી રહ્યાં છે.

આલેખનઃવિનોદ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!