માંગરોળ બંદર વિસ્તારમાં ઠાલવવામાં આવતા કચરાના પ્રશ્ને મહિલાઓ બની રણચંડી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદરે શહેરભરના ઠલવાતા કચરા અને તેમાંથી ઉતપન્ન થતા ધુમાડાને લીધે રહેવાશીઓને વેઠવી પડી રહેલી ખુબજ હાલાકી બાબતે આ વિસ્તાર ની મહીલાઓએ આક્રમક રૂખ અપનાવ્યો હતો.જવાબદાર તંત્ર ને આ બાબતે અવાર નવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર કોઈ પણ રજૂઆતો ધ્યાનમાં ન લેતું હોવાના આક્ષેપ સાથે સાંજે મહીલાઓએ ન.પા.ના ટ્રેકટરોને કચરો ઠાલવ્યા વગરજ પરત મોકલી દીધા હતા. તેમજ ખાતર ઉપાડતા કોન્ટ્રાક્ટરના વાહનોની ચાવી કાઢી લેવામાં આવી હતી. ત્યાર બાદ આખરે ખારવા સમાજના પટેલની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ બંદરના રહેણાંક વિસ્તાર બઈ નજીક છેલ્લા લાંબા સમયથી શહેરનો કચરો ઠાલવવામાં આવે છે.ખુબજ ગંદકી ઉપરાંત મૃત પશુઓ, હાડકા, ફાઈબર વેસ્ટ સહિતના કચરાથી અહીં ભયંકર દુર્ગંધ ફેલાય છે.તેમજ આ કચરો સળગતા ધુમાડાના ગોટેગોટા ઉઠવા થી આજુબાજુના વિસ્તારના લોકોનું રહેવું દુષ્કર બની ગયું છે. બાળકો, વૃદ્ધો શ્ર્વાસની બિમારીઓનો ભોગ બન્યા છે. આ મામલે અનેક આવેદનો પણ અપાયા છે. આ પેચીદા પ્રશ્ને મામલતદાર તથા જીલ્લા કલેકટર સમક્ષ પણ અનેકવાર લેખિત રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આ સમસ્યાના નિરાકરણ માટે કચરો ઠાલવવા નજીકમાં બે જગ્યાઓ નીમ કરવામાં આવી છે. જેની કાગળની પ્રક્રિયા ચાલુ હોવાનું જાણવા મળેલ છે.
દરમ્યાન વહિવટી પ્રક્રિયામાં ઘણોજ સમય પસાર થતા આ વિસ્તારમાં રહેતી મહીલાઓએ આખરે ધીરજ ગુમાવી હતી. “ન.પા. હાય હાય”ના સુત્રોચ્ચાર સાથે મોડી સાંજે એકત્રિત થયેલી મહીલાઓએ કચરો ઠાલવવા આવેલા ન.પા.ના ટ્રેકટરોને અહીંયા કચરો ઠાલવવા દીધો ન હતો જયારે અહીં ખાતર ઉપાડતા કોન્ટ્રાક્ટરના વાહનોની ચાવી કાઢી લીધી હતી. ત્યાર બાદ ભારે હંગામો થતા પોલીસ પણ દોડી આવી હતી. જો કે ત્રણ કલાક સુધી ન.પા.ના જવાબદાર અધિકારી કે એક પણ પદાધિકારી ઘટનાસ્થળે ફરકયા ન હતા.ત્યાર બાદ આખરે ખારવા સમાજના પટેલ પરસોતમભાઈ ખોરાવાએ ચિફ ઓફીસર સાથે ટેલિફોનિક વાત કરી બે દિવસમાં આ મુદ્દે મિટીંગ કરી કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી આ જગ્યા પર કચરો ન ઠાલવવા કે ખાતર ન ઉપાડવાની ચિફ ઓફિસરે મૌખિક બાહેંધરી આપતા આખરે આ મામલો થાળે પડ્યો હતો.
રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)