રાજ્યની તમામ શાળાઓમાં હવે એપ્રિલથી જ નવુ શૈક્ષણિક સત્ર શરૂ થશે…!!

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે સેન્ટ્રલ બોર્ડની શાળાઓની માફક શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ તાકીદે શાળાઓ શરૂ કરી દેવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ચાલુવર્ષ ૨૦૨૦-૨૧થી નવું શૈક્ષણિક વર્ષ તા.૨૦મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે. જ્યારે ઉનાળુ વેકેશન તા.૪થી મેથી લઇને તા.૭મી જૂન સુધી યથાવત રાખવામાં આવશે. એટલે કે હવે એપ્રિલ માસના પ્રથમ સપ્તાહથી જ નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરી દેવામાં આવશે.
બોર્ડ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે ચાલુ વર્ષ અને હવે પછીના તમામ શૈક્ષણિક વર્ષોમાં એપ્રિલના પ્રથમ સપ્તાહથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાનુ રહેશે. મે માસના પ્રથમ સપ્તાહથી લઇને જૂન માસના પ્રથમ સપ્તાહના અંત સુધી એટલે કે પાંચ સપ્તાહનુ વેકેશન યથાવત રાખવાનુ રહેશે. આ પ્રમાણેના દિવસોને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓને વ્યવસ્થા કરવા સૂચના આપી દેવામાં આવી છે. પરીક્ષા પૂરી થયા બાદ એપ્રિલમાં શરૂ થનારુ શૈક્ષણિક સત્ર પછીના વર્ષમાં માર્ચ માસ સુધી રહે તે પ્રમાણે કામગીરી કરવાની રહેશે.
ગુજરાત રાજય શાળા પાઠ્ય પુસ્તક મંડળને પણ એવી સૂચના આપવામાં આવી છે કે, એપ્રિલ માસમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થાય અને પુસ્તકો મળી રહે તે પ્રમાણેનુ આયોજન કરવાનુ રહેશે. શૈક્ષણિક કેલેન્ડર ગોઠવતી વખતે શાળાઓમાં ઉનાળુ અને દિવાળીને વેકેશનના દિવસોની સંખ્યા યથાવત રાખવાની રહેશે.
બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવી વ્યવસ્થા અંગે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના દિવસોની સંખ્યામા વઘઘટ થતી જોવા મળી રહી છે. ફરજિયાત શિક્ષણ અધિકારી અધિનિયમ અંતર્ગત ધો.૧થી ૫માં ૨૦૦ દિવસ અને ધો.૬ થી ૮માં ૨૨૦ દિવસથી ઓછા ન હોય તેવી જોગવાઇ કરવામાં આવી છે.
આ જોગવાઇ પ્રમાણે પ્રથમ અને દ્વિતિય શૈક્ષણિક સત્રના દિવસો સરખા રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.હાલમાં માર્ચ માસના અંતમાં અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં વર્ષાંત પરીક્ષા પૂર્ણ થયા પછી મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ઉનાળુ વેકેશન ચાલુ થતાં મહિના સુધી શાળાઓ ચાલુ રહે છે. પણ વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા બાદ શાળાઓ ચાલુ હોવાછતાં અસરકારણ શૈક્ષણિક કામગીરી સામાન્ય રીતે થતી નથી.
વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા બાદ જે સમય બચે તેનો શૈક્ષણિક કાર્યમાં ઉપયોગ થઇ શકે તે માટે સેન્ટ્રલ બોર્ડ એટલે કે CBSEની શાળાઓ જે રીતે કામગીરી કરે છે તે પ્રમાણે ગુજરાત બોર્ડની શાળાઓમાં પણ વ્યવસ્થા કરવામાં આવે તો આ દિવસોનો મહત્તમ ઉપયોગ થઇ શકે તેમ છે. બોર્ડ દ્વારા લાંબી વિચારણા પછી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી તમામ શાળાઓમાં આ પ્રકારની વ્યવસ્થા લાગુ કરવા માટે છેલ્લા કેટલાય સમયથી વિચારણા ચાલતી હતી. બોર્ડ દ્વારા સંલગ્ન શિક્ષણ સંઘો, શાળા સંચાલક મંડળો અને શિક્ષણવિદ્દો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ બોર્ડ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)