ઠેબચડા હત્યા કેસમાં કોળી પરિવાર પાસેથી ૮૬ લાખ લેનાર સલાહકારની ધરપકડ

રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનના ડખ્ખામાં ક્ષત્રિય વૃદ્ધની હત્યાના ગુનામાં ૧૫ આરોપીઓ પકડાયા બાદ આરોપીઓ પાસેથી ૮૬ લાખ રૂપિયા લઇ કાયદાકીય સલાહ આપવામાં મદદરૂપ થતા સલાહકાર તરીકે આરોપી હોય. તેવા શખ્સને જામનગર પંથકમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લઇ એક દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. હજુ આ ગુનામાં ૫ આરોપીઓ ફરાર છે. રાજકોટના ઠેબચડા ગામે જમીનના ડખ્ખામાં લખધીરસિંહ નવુભા જાડેજા નામના વૃદ્ધની ઘાતકી હત્યા થઇ હતી. તેમજ તેના બે ભાઈઓને પણ ઇજા થઇ હતી.
આ બનાવની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા બાદ ૪ મહિલાઓ સહીત ૧૨ મુખ્ય આરોપીઓને જે તે વખતે જ દબોચી લીધા હતા. તે ઉપરાંત અન્ય ૩ આરોપીઓને ઝડપી લઇ જેલહવાલે કરવામાં આવ્યા હતા. અન્ય કાવતરું ઘડનાર ૯ પૈકી ૬ આરોપીઓ પકડવાના બાકી હોય તે પેટે રાજકોટના બહુમાળી ભવન પાસે જેકલીફ બિલ્ડિંગમાં રહેતા સલાહકાર અક્ષીત કદંબકાન્ત છાયા જામનગર જિલ્લાના હરીપર ગામે હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતા જુદી જુદી ટિમો દોડાવાઈ હતી.
બાતમીવાળી જગ્યાએ લાલપુર રોડ ઉપરથી ઝડપી પાડ્યો હતો. તેને તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ૧ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. સાંજે રિમાન્ડ પુરા થઇ ગયા બાદ જેલહવાલે કરવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં તેણે આરોપી કોળી પરિવાર પાસેથી અત્યાર સુધીમાં ૮૬ લાખ રૂપિયા લઇ લીધા હોવાની કબૂલાત આપી છે. ઠેબચડા હત્યા કેસમાં સલાહકાર અક્ષીત છાયા સહીત કુલ. ૧૬ આરોપીઓની ધરપકડ થઇ છે. હજુ ૫ આરોપીઓ બાકી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)