ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલના ર્ડાકટર અને અન્ય સ્ટાફ માટે ખાસ રૂટની બસોની સુવિધાઓ શરૂ
ગાંધીનગર,
ગાંધીનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલના ર્ડાકટરોઅને અન્ય મેડિકલ સ્ટાફને ગાંધીનગર સિવીલ હોસ્પિટલ આવવા – જવા માટે ખાસ બસોની સુવિધાઓ તેમની જરૂરિયાત મુજબ જિલ્લા કલેકટર શ્રી ર્ડા કુલદીપ આર્યના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ડેપો દ્વારા સુચારું વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
નોવેલ કોરોના વાયરસના કારણે ગાંધીનગર લોકડાઉન હોવાથી ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ર્ડાકટર, નર્સિગ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફને પોતાના સમયમાં ફરજ પર આવવામાં ભારે કઠનાઇઓ પડતી હતી. આ વાતની જાણ ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી કુલદીપ આર્યને થતાં જ તેમણે ગાંધીનગર એસ.ટી. ડેપોના મેનેજરશ્રીને સિવિલ સર્જન, ગાંધીનગરની જરૂરિયાત મુજબના રૂટ પર બસોની ફાળવણી કરી દેવા જણાવ્યું હતું. જે અનુસાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલના વડાના કહ્યા મુજબ મેડિકલ સ્ટાફ માટે બસની સુવિધા કરી દેવામાં આવી છે.
જેમાં વિજાપુર ખાતેથી એક બસ ઉપડીને વિજાપુર–મહુડી-લોદરા – પેથાપુર થઇ ને સવારના ૮.૦૦ કલાકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સિવીલના કર્મયોગીઓને લઇને આવશે. આ બસ બપોરના તેમની શીફટ પૂર્ણ થતાં ૩.૨૫ કલાકે પર ગાંધીનગરથી ઉપડી આ જ રૂટ પર પરત વિજાપુર જશે. તેમજ કલોલ થી એક બસ ઉપડીને ઘમાસણા-સરઢવ-રૂપાલ-રાંધેજા અને વાવોલ થઇ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સવારના ૮.૦૦ કલાકે આવશે. આ જ બસ સાંજના કર્મચારીઓની શીફટ પુર્ણ થતાં પરત ફરશે. આ બન્ને બસોમાં કલોલના રૂટની બસ આજથી ચાલું થઇ ગઇ છે. તેમજ વિજાપુર રૂટ વાળી બસ તા. ૨૮મી માર્ચથી રાબેતા મુજબ કાર્યરત થશે. તે ઉપરાંત ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કર્મયોગીઓ માટે એસ.ટી. ડેપો દ્વારા અમદાવાદના પાલડી, મેધાણીનગર અને નરોડા વિસ્તારમાં રહેતા ગાંધીનગર સિવિલના કર્મયોગીઓ માટે ઉમદા સેવા છેલ્લા પાંચ દિવસથી આપવામાં આવી રહી છે.