સુરતના રાંદેરમાં અધધ..૫૦ હજારથી વધુ લોકો હોમ ક્વારન્ટાઇન હેઠળ
- લોન્ડ્રી ચલાવતા વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કાર્યવાહી
- માસ ક્વોરન્ટીનના કડક અમલ માટે પોલીસ ફોર્સ પણ તૈનાત કરી દેવામાં આવી
સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો ૧૨ પર પહોંચ્યો છે. જેમાં પૈકી એકનું મોત થયું છે. બે દિવસ પહેલા રાંદેર વિસ્તારમાં લોન્ડ્રી ચલાવતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. લોન્ડ્રીના કારણે મોટી સંખ્યામાં લોકો સંપર્કમાં આવ્યા હોવાની શંકાને લઈને આખા રાંદેર વિસ્તારને માસ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યો છે. આ ગુજરાતનું સૌથી મોટું માસ ક્વોરન્ટીન હોવાનું માનવામાં આવે છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા રાંદેરનો એક કિલોમીટરનો વિસ્તાર બેરિકેટથી બંધ કરી ૧૬ હજારથી વધુ ઘરોનો ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવ્યો છે. હાલ ૫૦ હજારથી વધુ લોકો હોમ ક્વોરન્ટીનમાં છે.
રાંદેરના ૬૭ વર્ષીય વૃદ્ધ લોન્ડ્રી ચલાવે છે. થોડા દિવસથી તેમને શરદી, ખાંસી, તાવ હોવાથી પ્રાઈવેટ હોÂસ્પટલમાં દાખલ થયા હતા. જ્યાં તેમને શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ લઇ રિપોર્ટ કરાયો હતો. જે સોમવારે પોઝિટિવ આવ્યો હતો. વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવાનું શરૂ કરી દીધું હતું. આરોગ્ય વિભાગે વૃદ્ધ અને તેમના સંપર્કમાં આવેલા પત્ની, સાળો, ભત્રીજા તેમજ પ્રાઈવેટ ડોક્ટર અને તેમના સ્ટાફ સહિત ૫ને ક્વોરન્ટીન કરી દીધા છે.
જ્યારે આ વૃદ્ધ લોન્ડ્રી ચલાવતા હોવાના કારણે અનેક ગ્રાહકો પણ તેમના સંપર્કમાં આવ્યા હોવાથી આરોગ્ય વિભાગના તબીબોએ તેમના નામો પૂછ્યા હતા. પરંતુ તેઓ નામ જાણતા ન હોવાથી પાલિકા દ્વારા વિસ્તારમાં સર્વે શરૂ કરાવ્યો છે. ત્યારબાદ રાંદર વિસ્તારને માસ ક્વોરન્ટીન કરી દેવાયો છે. રાંદેરમાં મળેલા પોઝિટિવ કેસને લઈને તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાથી તેમના રહેઠાણ આસપાસ એક કિલોમીટર વિસ્તારને ક્વોરન્ટીન કરવામાં આવ્યું છે. સાથે જ એક કિલોમીટરના વિસ્તારમાં બેરીકેટ પણ મુકી દેવામાં આવ્યા છે અને રેડ ફ્લેગ પણ લગાવવામાં આવ્યો છે. માસ ક્વોરન્ટીનના કડક અમલ માટે પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે.