બનાસકાંઠા જિલ્લામાં રૂ.૫૯૮.૪૨ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન
- તા. ૯ ઓગષ્ટના રોજ નાયબ મુખ્યમંત્રીશ્રી દાંતા, અંબાજી અને પાલનપુર ખાતે વિકાસ કામોનું લોકાર્પણ તથા ભૂમિપૂજન કરશે
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં તા.૯ઓગષ્ટ-૨૦૨૦, રવિવારના રોજ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના હસ્તે માર્ગ અને મકાન, નેશનલ હાઈવે અને આરોગ્ય વિભાગના રૂ. ૫૯૮.૪૨ કરોડના ૧૬ જેટલાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ સવારે-૧૧.૦૦ કલાકે દાંતા મુકામે માર્ગ અને મકાન વિભાગ તથા આરોગ્ય વિભાગના કામોનું લોકાર્પણ કરશે.
જેમાં દાંતાથી પાલનપુરનો ચાર માર્ગીયકરણ રસ્તો, દાંતાથી આંબાઘાટ રસ્તાનું ચાર માર્ગીયકરણ લોકાર્પણ તથા દાંતા તાલુકાના મોટાસડા અને હડાદ ખાતે નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. ત્યારબાદ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે સવારે- ૧૧.૪૫ કલાકે હિંમતનગર- ખેરોજ- અંબાજી રસ્તાનું ચાર માર્ગીયકરણનું લોકાર્પણ કરશે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અંબાજી મુકામે માતાજીના દર્શન કરી સર્કિટ હાઉસનું નિરીક્ષણ કરશે. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ પાલનપુર ખાતે આર. ટી. ઓ. સર્કલ પાસે બપોરે-૨.૩૦ કલાકે માર્ગ અને મકાન વિભાગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે.