ખાડી પૂરે સુરતની સૂરત બગાડી, 1 લાખથી વધુ લોકોને ખાડી પૂરની અસર પહોંચી

- લિંબાયતમાં 50 હજાર, સણીયા હેમદમાં 30 હજાર અને ઉધનામાં 20 હજાર લોકોને પૂરની અસર
- ખાડી પૂરથી લિંબાયત અને પરવત પાટીયા વિસ્તારમાંથી અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
સુરત. શહેર-જિલ્લામાં ભારે વરસાદથી શહેરની પાંચમાંથી ચાર ખાડી ઓવરફલો થઇ ગઇ છે. સૌથી વધુ અસર મીઠીખાડી નજીક થઇ છે. સણીયા હેમદથી લઇ લિંબાયત સુધીના સમગ્ર વિસ્તારના 1 લાખ લોકો પ્રભાવિત થયા છે. જેમાં લિંબાયતમાં 50 હજાર, સણીયા હેમદમાં 30 હજાર અને ઉધનામાં 20 હજાર મળી 1 લાખ લોકોને અસર થઈ છે. 2006નાં પૂર બાદ મીઠીખાડી પહેલીવાર 9 મીટરે પહોંચી છે. જેથી લોકોને 2006ના પૂરની યાદ અપાવી છે. આજે ત્રીજા દિવસે પણ લિંબાયત, સણીયા હેમદ સહિતના વિસ્તારમાં પાણી યથાવત છે. જોકે, વરસાદનું જોર થોડું ઘટતા પાણી ઓસરવાની આશા છે.
- મીઠી ખાડી નજીકનો વિસ્તાર વધુ પ્રભાવિત થયો
- 400થી વધુ લોકોનું રેસ્ક્યુ
છેલ્લા 24 કલાકમાં સુરત શહેર સહિત જિલ્લામાં મધ્યમ વરસાદ નોંધાયો છે. ત્યારે છેલ્લા બે દિવસથી સુરત શહેરની ખાડીઓ ઓવરફ્લો થતા લિંબાયત, પરવત પાટીયા, સણીયા હેમદનો વિસ્તારમાં ખાડી પૂરને લઈને અસરગ્રસ્ત થયો છે. છેલ્લા બે દિવસથી ખાડી પૂરને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આજે ત્રીજા દિવસે પણ પાણી યથાવત છે. પાલિકા અને ફાયર વિભાગની ટીમ છેલ્લા બે દિવસથી સતત પેટ્રોલિંગ કરી રહી છે. અત્યાર સુધીમાં 400થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે લિંબાયત અને પરવત પાટીયા વિસ્તારમાંથી અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
પત્રકાર : ઈરફાન શેખ