4200 ગ્રેડ પે અને HTAT આચાર્યના પ્રશ્નો બાબતે કલેકટરને આવેદન અપાયું

- અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- મોરબી દ્વારા કલેકટરને કરાઈ રજુઆત
મોરબી : છેલ્લા દોઢ વર્ષથી 4200 ગ્રેડ પે બાબતે વારંવાર સરકારને રજુઆત કરતા શિક્ષકો અને આચાર્યોની અન્ય માંગણીઓ ન સંતોષાતા મોરબી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ફરી એકવાર પોતાની રજુઆત ઉચ્ચ સ્તરે પહોંચાડવા જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અનેક રજૂઆતો બાદ પણ છેલ્લા દોઢ વર્ષથી સરકારે ૪૨૦૦ ગ્રેડ પે બાબતે નીતિવિષયક નિર્ણય કરી હજુ સુધી પરિપત્ર ન કરતા મોરબી ખાતે જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. રાજ્યના 65000થી વધુ શિક્ષકોને અસર કરતો પ્રશ્ન હોય અને સંગઠનની વારંવારની રજુઆતો બાદ 25/06/2019નો પત્ર સ્થગિત કરવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો હતો.
જો કે એ નિર્ણયને પણ 3 ત્રણ માસ કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં કોઈ નિરાકરણ નહિ મળતા અને HTAT આચાર્યોના આર.આર. અને ઓવર સેટ-અપ બાબતની રજુઆતનો કોઈ નિર્ણય પણ હજી આવ્યો ન હોય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, ગુજરાત રાજ્યના નેતૃત્વ હેઠળ ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના શિક્ષકો જોડાઈને ભાગ લ્યે તે માટેનું આયોજન કરવામાં આવેલ છે. એ અન્વયે તારીખ 8 ડિસેમ્બર 2020થી જિલ્લા વાઈઝ 50 શિક્ષકોએ ગાંધીનગર ખાતે તારીખ 25 જાન્યુઆરી 2021 સુધી દરરોજ ધરણા પર બેસવાનું નક્કી કર્યું છે.
આ ઉપરાંત હાલ અનેકવિધ કામગીરી ઓનલાઈન કરાવવામાં આવે છે એ ઓનલાઈન કામગીરીનો શિક્ષકો દ્વારા 12 ડિસેમ્બર 2020થી બહિષ્કાર કરવા સહિતના આયોજન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા કરવામાં આવ્યા છે. એ આયોજન 4200 ગ્રેડ પે અને HTAT આચાર્યોના પ્રશ્નો ઉકેલવા માટે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી બે જ વ્યક્તિને કલેકટરની ચેમ્બરમાં પ્રવેશ આપવામાં આવતો હોય બે વ્યક્તિ દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું
રીપોર્ટ : જનક રાજા (મોરબી)