જૂનાગઢ : વિરપુર શેખવા ગામ ખાતેથી મળી આવેલ ત્રણ સિંહના બચ્ચાનો ડીએનએ રીપોર્ટ કરાવ્યો
જૂનાગઢ : જૂનાગઢ તા.૬ ગીર પશ્વિમ વિભાગ જૂનાગઢ હેઠળની વિસાવદર રેન્જના કાર્યક્ષેત્રના વિસ્તારમાં આવેલ વિરપુર શેખવા ગામમાં સિંહણ દ્વારા ગત તા.૮-૯-૨૦ના રોજ માનવ મૃત્યુના બનાવ બાદ આ સિંહણ અને સિંહને પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ ગત તા.૨૩-૯-૨૦ના રોજ એ જ ગામની સીમમાંથી સિંહના ત્રણ બચ્ચા મળી આવ્યા હતા. આથી આ બચ્ચાના માતા સાથેના મિલનના પ્રયત્નો કરાવવામાં આવ્યા હતા. પરંતુ સિંહણ આવી ન હતી. આથી ત્રણેય બચ્ચાને સક્કરબાગ ઝૂમાં રાખવામાં આવ્યા હતા અને આ સિંહણ અને ત્રણ બચ્ચાના હૈદરાબાદ ખાતે ડીએનએ ટેસ્ટ કરાવતા મેચ ન થતા આ બચ્ચા તે સિંહણના ન હોવાનું પુરવાર થયું છે.
ગીર પશ્વિમ વિભાગ જૂનાગઢ હેઠળની વિસાવદર રેન્જના કાર્યક્ષેત્રના વિસ્તારમાં આવેલ વિરપુર શેખવા ગામમાં સિંહણ દ્વારા ગત તા. ૮-૯-૨૦ ના રોજ માનવ મૃત્યુનો બનાવ બન્યો હતો. ત્યારબાદ એક સિંહણ અને સિંહને પકડવામાં આવેલ હતા. સિંહોને પકડવાની કાર્યવાહી કરતા સ્થાનિક લોકો દ્વારા સિંહોની કોઇ રંજાડ નથી અને આ બનાવ અકસ્માતે બનેલ હોવાનું જણાવેલ છે. ત્યારે ગત તા.૨૩-૯-૨૦ના રોજ એ જ ગામની સીમમાંથી ૧ માસની વયના ત્રણ સિંહના બચ્ચા મળી આવ્યા હતા. આથી વેટરનરી ઓફિસર જામવાળા દ્વારા બચ્ચાની સ્વાસ્થય ચકાસણી કરી જરૂરી પ્રવાહી ખોરાક આપી રાત્રીના સમયે નાના પાંજરામાં રાખીને સિંહણ આ સ્થળે આવે તો બચ્ચા લઇને કુદરતી વિચરણ કરી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી.
આ જગ્યાએ બચ્ચાની માતા ન આવતા તા.૩૦-૯-૨૦ના રોજ ત્રણેય બચ્ચાઓને વધુ સારવાર અને માવજત માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યારે સિંહ પ્રત્યે સંવેદનશીલ વહીવટના ભાગરૂપે વૈજ્ઞાનિક પુરાવા મેળવવા હૈદરાબાદ ખાતેની Lacones-ccmb સંસ્થાને બચ્ચાઓ અને મુક્ત કરેલ સિંહણના લોહીના નમુના લઇ ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવેલ હતા. જે ટેસ્ટ રીપોર્ટમાં પણ આ વાત પુરવાર થઇ છે કે પકડાયેલ ત્રણેય બચ્ચા આ સિંહણના નથી. તેમ ગીર પશ્ચિમ વન વિભાગની યાદીમાં જણાવાયુ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ