અલંગમાં 4 દાયકાનું પ્રદૂષણ 3 મહિનામાં નાબૂદ થયુ : CSMCRI

છેલ્લા એક વર્ષથી સમગ્ર દેશ કોરોના વાયરસની બિમારીથી જજૂમી રહ્યો છે, અને લોકડાઉનનો સામનો પણ દેશ કરી ચૂક્યુ છે. લોકડાઉનનો કારમો તબક્કો અલંગના શિપબ્રેકિંગ વ્યવસાયની આર્થિક બાબતોને ખરાબ રીતે અસરકર્તા રહ્યુ હતુ, પરંતુ પરોક્ષ રીતે તેનો ફાયદો પણ થયો છે.
હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર, લોકડાઉન દરમિયાન અલંગમાંથી છેલ્લા 40 વર્ષનું પ્રદૂષણ ફક્ત ત્રણ માસમાં નાબૂદ કરી શકાયુ છે.સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ ઇન્સ્ટીટ્યુટ (CSMCRI) અને અેકેડેમી ઓફ સાયન્ટિફિક એન્ડ ઇનોવેટિવ રીસર્ચ-ગાઝિયાબાદ દ્વારા વિશ્વના સૌથી મોટા શિપ રીસાયકલિંગ યાર્ડમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસના તારણમાં આવ્યુ છે કે, ઓવરઓલ એર ક્વોલિટી ઇન્ડેક્સ લોકડાઉનના તબક્કા દરમિયાન નોંધપાત્ર રીતે ઘટ્યુ છે.
ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી)ના વરિષ્ઠ પર્યાવરણ ઇજનેર અતુલ શર્માના જણાવ્યા પ્રમાણે, CSMCRI દ્વારા અલંગમાં પર્યાવરણ અંગે સંપૂર્ણ સ્કેનિંગ કરવામાં આવ્યુ હતુ, અને તેઓના તારણ મુજબ 40 વર્ષનું પ્રદૂષણ લોકડાઉનના 3 મહિના દરમિયાન નાબૂદ કરી શકાયુ છે. તેનો અર્થ થાય છે કે હંગામી પ્રદૂષણ કુદરતી ઇકોસીસ્ટમના માપદંડની મર્યાદામાં હોય છે.
જીએમબીના સીઇઓ અવંતિકાસિંઘના મતે, અલંગમાં નોંધપાત્ર રીતે પ્રદૂષણનું સ્તર ઘટ્યુ છે. જીએમબી દ્વારા વિકસીત કરવામાં આવેલી વેસ્ટ મેનેજમેન્ટ સીસ્ટમથી અલંગમાં શિપબ્રેકિંગ પ્રવૃત્તિથી થતી અસરો ઘટાડી શકાઇ હોવાનું અભ્યાસના ડેટા પરથી ફલિત થાય છે.