ભગવાને જ અમને અંતિમ સંસ્કારનું કામ સોંપ્યું છે તો ભગવાન જ કોરોનાથી અમારી રક્ષા કરશે

આજે કોરોનાના કપરા સમયમાં કોરોનાથી સંક્રમિત વ્યક્તિનું મોત થાય છે ત્યારે કેટલાક સગાઓ તેમના કોરોનાથી મૃત્યુ પામેલા સ્વજનના અંતિમ સંસ્કાર કરવાથી પણ દૂર રહે છે. તેવા સમયમાં કોરોનાથી સંક્રમિત થયેલા નિરાધાર મૃતકના અગ્નિસંસ્કાર કરવા માટે દહેગામમાં કાર્યરત ઉમ્મીદ ફાઉન્ડેશન તેમજ શાન્વી સેવા સંસ્થાના યુવાનો સંયુક્ત રીતે કોરોના સંક્રમિતના અગ્નિસંસ્કાર કરી માનવતા ની મહેક પ્રસરાવી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે, ભગવાને જ અમને અંતિમ સંસ્કારનું કામ સોંપ્યું છે તો ભગવાન જ કોરોનાથી અમારી રક્ષા કરશે. આમ સમજી તેઓ સેવા કરી રહ્યાં છે.
ગત માસથી અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત થઈને મૃત્યુ પામેલા 15 જેટલા નિરાધાર લોકોના ધીરજ માહેશ્વરી અને મયુર રામીની ટીમે સંયુક્ત રીતે વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરી ચુક્યા છે. ધીરજભાઈ અને મયુરભાઈ ને કોઈ વ્યક્તિ નિરાધાર હોવાના કારણે અને તેઓ કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાથી મૃતકના અગ્નિસંસ્કાર માટે એક કોલ કરે છે તો તેમની ટીમ મૃતકના ઘર કે મૃતક જે સ્થળે સ્થળે સારવાર લઇ રહ્યા હતા તે સ્થળે પીપીઈ કીટ પહેરી સ્વખર્ચે અંતિમ સંસ્કારનો સામાન તેમજ શબવાહિની લઈને પહોંચી જાય છે.અને પોતે સંક્રમિત થયા નો ડર રાખ્યા સિવાય મૃતદેહને શબવાહિનીમાં મૂકી સ્મશાન ગૃહે અંતિમ સંસ્કાર માટે લઈ જાય છે ધીરજભાઈ અને મયુરભાઈના માનવતા ભર્યા કામમાં તેમના મિત્ર કાર્તિક મિસ્ત્રી અને નિખિલ સુથાર પણ જોડાઈ ને મદદરૂપ થાય છે.