રાજકોટ માં મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં રાત્રી બજારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

રાજકોટ માં મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં રાત્રી બજારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વાસી અને અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અલગ અલગ ૪ સ્થળેથી ખાદ્ય સામગ્રીના નમુના લઈ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના હાથીખાના રોડ પર રામનાથપરા ચોક, કુવાડવા રોડ પર ૫૦ ફૂટ રોડ, રામનાથપરામાં ગરૂડ ગરબી ચોક, રામનાથ પરા સ્મશાન સામે, સંતકબીર રોડ, પાંજરાપોળ પાસે સહિતના વિસ્તારોમાં રાત્રી બજારોમાં ઉભી રહેતી ખાદ્ય ચીજવસ્તુઓની રેંકડીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વાસી બીરીયાની, ચિકન, એક્સપાયરી વીતી ચૂકેલી બ્રેડ, વાસી નુડલ્સ, કાપેલી ડુંગળી, વાસી ઘુઘરા, પાણીપુરીનું પાણી, વાસી બાફેલા બટેટા, અનહાઈઝેનીક સોસ સહિત કુલ-૩૧ કિલો સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભાવનગર રોડ પર રણછોડનગર-૧ માં મહાવીર જનરલ સ્ટોર્સમાંથી ચીગ્સ સીક્રેટ સેઝવાન ચટણી, કુવાડવા રોડ પર ખીજડાવાળા ૫૦ ફૂટ રોડ સ્થિત ઉધમશીપ ટાઉન શીપ સામે આશિર્વાદ સેલ્સમાંથી ચિગ્સ સિક્રેટ ડાર્ક સોસાસોસ, યુનિ.રોડ પર ઈન્દિરા સર્કલ પાસે રામકૃપા ડેરી ફાર્મમાંથી લુઝ કાજુ કતરી અને ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે તુલસીપાર્ક-૨ માં પૂજા સેલ્સમાંથી હેન્ઝ ટોમેટો કેચઅપના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.