મહાશિવરાત્રીના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પદાધિકારીઓનું સન્માન કરાયું
મહાશિવરાત્રીના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પદાધિકારીઓનું સન્માન કરાયું
પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુની પ્રેરણાથી જુના અખાડા, આહવાન અખાડા અને પંચ અગ્નિ અખાડા દ્વારા સંયુક્ત રીતે બહુમાન
શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે ઉમદા અને શ્રેષ્ઠ કામગીરી કરનારનું બહુમાન થવું જોઈએ અને આવારા તત્વોને ડામી દેવા જોઈએ : શ્રી મુક્તાનંદ બાપુ
ભવનાથ વિસ્તારનું લાંબાગાળાનું અને મોટાપાયે ડેવલપમેન્ટનું આયોજન કરાશે: કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા
જૂનાગઢ : પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુની પ્રેરણાથી જુના અખાડા, આહવાન અખાડા અને પંચ અગ્નિ અખાડા દ્વારા સંયુક્ત રીતે મહાશિવરાત્રીના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા સહિતના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી મુક્તાનંદ બાપુની સાથે શ્રી હરિગીરી બાપુ અને શ્રી સતગીરી બાપુએ કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, જિલ્લા પોલીસવડા શ્રી હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર શ્રી એન. એફ. ચૌધરી સહિત મહાનગરપાલિકા, પીજીવીસીએલ, સહિતના વિભાગના અધિકારીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મેયર શ્રીમતી ગીતાબેન પરમારે જણાવ્યું કે, વિવિધ વિભાગોએ સાથે મળીને ભાવિકો માટે ઉમદા વ્યવસ્થા કરી હતી. સાથે સાધુ સંતોના આશીર્વાદથી મહાશિવરાત્રીનો મેળો સુખરૂપ સંપન્ન થયો છે. તેમણે સંતોના હસ્તે સન્માન થયું તેનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો.
શ્રી મુક્તાનંદ બાપુએ જણાવ્યું કે, મહાશિવરાત્રીના મેળામાં ભાવિકો આસ્થાભેર દિગંબર સાધુઓના દર્શન માટે આવે છે, આ મેળામાં ભજન- કીર્તનની સાથે ઉતારા મંડળ દ્વારા સદભાવ સાથે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને દિગંબર સાધુઓની રવાડી મહાશિવરાત્રીના મેળો અન્ય મેળાઓ કરતા વિશેષ ઓળખ આપે છે. આ મેળામાં તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ અને આયોજનો કરવામાં આવે છે. તેમણે ઉદાહરણ સાથે જણાવ્યું કે, સમાજમાં ઉમદા અને શ્રેષ્ઠ કામગીરી કરનારનું બહુમાન થવું જોઈએ. સાથે જ આવારા તત્વોને ડામી દેવા જોઈએ. તેના થકી જ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થતું હોય છે. ઉચ્ચ પ્રતિભા ધરાવનાર લોકો જ સમાજને કંઈક આપતા હોય છે. લોકોમાં સારા વિચાર વગર સંસ્કાર ટકી શકતા નથી. તેમ જણાવતા રાષ્ટ્ર ભાવના સાથે સમાજ અને દેશની સેવા માટે પણ આહવાન કર્યું હતું. ઉપરાંત મહાશિવરાત્રીના મેળામાં વર્ષો વર્ષ વધતી જતી ભાવિકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા માટેનું આયોજન કઈ રીતે કરી શકાય તે માટેનું ભવિષ્યલક્ષી યોજના રજુ કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.
ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ શ્રી મુક્તાનંદ બાપુના આ સન્માન- અભિવાદનના ઉપક્રમને આવકારતા જણાવ્યું કે, વહીવટી તંત્ર, પોલીસ, મહાનગરપાલિકા, વન વિભાગ સહિતના વિભાગોએ સાથે મળી મહાશિવરાત્રીના મેળામાં ખૂબ ઉમદા કામગીરી કરી છે. તેમણે સફાઈકર્મી સહિત દરેક વિભાગના અધિકારી કર્મચારીઓની કામગીરી બિરદાવતા કહ્યું કે, મીડિયા કર્મીઓએ પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા મહાશિવરાત્રીના મેળાની લોકો સુધી પહોંચાડી મેળાને એક નવી ઉંચાઈ આપી છે. ધારાસભ્યશ્રીએ શ્રી મુક્તાનંદ બાપુના સેવા કાર્યોનો પણ સવિશેષ ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, મેળામાં પધારતા ભાવિકો એક સારો અનુભવ લઈને જાય. તેવો જિલ્લા વહીવટી તંત્રનો પ્રયાસ અને અભિગમ હોય છે. તેમણે કહ્યું કે, ગિરનાર લીલી પરિક્રમા અને મહાશિવરાત્રીના મેળો તંત્ર માટે એક પડકારરૂપ હોય છે પરંતુ તેને સરળ બનાવવા ઉપર ભાર આપવામાં આવે છે. આ માટે સાધુ સંતોના સૂચનો અને માર્ગદર્શન ઉપયોગી બને છે અને તેમના આશીર્વાદથી જ મેળાનું સફળ આયોજન શક્ય બને છે. કલેકટરશ્રીએ સોરઠ પ્રદેશને અનુઠો ગણાવતા કહ્યું કે, અન્નક્ષેત્રોમાં નિસ્વાર્થ ભાવે લોકો સેવા કરે છે. ગિરનારનો સદીઓ જુનો ઈતિહાસ છે, અહીંયા આવતા લોકોની સંખ્યા પણ વધતી જાય છે. ખાસ કરીને ભવનાથ વિસ્તારનું લાંબાગાળાનું અને મોટાપાયે ડેવલપમેન્ટ હાથ ધરવાનું આયોજન કરાશે. ઓવરબ્રિજ, પાર્કિંગ, પાણી વગેરે સગવડ વધારે સારી રીતે આપી શકાય તે માટે પણ પ્રયાસો કરાશે.
શ્રી હરિગીરી બાપુએ જણાવ્યું કે, કુંભમેળા બાદ પણ શાસન પ્રશાસનને સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માન કરવાની પરંપરા છે. તેમણે ખાસ કરીને ભાવિકોની સંખ્યા વધતી હોવાથી મેળાનો વિસ્તાર ઓછો પડી રહ્યો છે ત્યારે મેળામાં ભાવિકોનું આવાગમન વધુ સરળ બને તે માટે જરૂરી આયોજન કરવા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચાએ મહાશિવરાત્રીનો મેળો સંપન્ન થયા બાદ સન્માનના આ ઉપક્રમને આવકારતા શ્રી મુક્તાનંદ બાપુના સેવા કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.
જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતાએ જણાવ્યું કે, મહાશિવરાત્રીના મેળા દરમિયાન માનવતા સાથે કાયદાનું ચુસ્ત પાલન થાય તેના ઉપર ભાર મૂક્યો હતો. મેળામાં ફરજના ભાગરૂપે જ જવાબદારી વહન કરવામાં આવે છે. તેમણે ફરજને બિરદાવવા માટે જિલ્લા પોલીસ વતી આભાર વ્યક્ત કરતા કહ્યું કે, ભવિષ્યમાં પણ માનવતાને પ્રાથમિકતા આપી કામગીરી કરતા રહીશું.
આ પ્રસંગે શ્રી સંપૂર્ણાનંદજી બાપુ સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા વહીવટી તંત્રના જુદા જુદા વિભાગની કામગીરી બિરદાવતા અધિકારીશ્રીઓનું બહુમાન કર્યું હતું.
આ પ્રસંગે જાણીતા લોકસાહિત્યકાર શ્રી રાજભા ગઢવીએ આગવી શૈલીમાં ભારતીય સંત પરંપરાનું મહિમા કરતા કહ્યું કે, આ પ્રકારના સન્માન વધુ સારું કાર્ય કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે.
આ પ્રસંગે પૂર્વ મેયર આદ્યશક્તિબેન મજમુદાર, શ્રી યોગીભાઈ પઢીયાર, નગરસેવક શ્રી એભાભાઈ કટારા સહિતના કોર્પોરેટર અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300