સરદાર સરોવર નર્મદા ડેમની ૧૩૬.૨૧ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ

નર્મદા ડેમમાં ૨,૧૫,૮૯૭ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૧,૮૫,૦૧૮ ક્યુસેક પાણીનો આઉટફલો : ડેમના ૧૦ દરવાજા ખોલાયા
નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં આજે નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર ૧૩૬.૨૧ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હોવાના અહેવાલ કેવડીયા કોલોની ખાતેના નર્મદા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. તેની સાથોસાથ આજે નર્મદા ડેમના ૧૦ દરવાજા ખુલ્લા હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઇ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આજે નર્મદા ડેમમાં ૨,૧૫,૮૯૭ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૧,૮૫,૦૧૮ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હતો. તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે અને આજે તા. ૮ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ સવારના ૮:૦૦ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૮,૭૩૨ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૪૭૧૦ મેગાવોટનું વિજ ઉત્પાદનથયું છે
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા