શંભુ પ્રસાદ ટુંડિયાને ટિકિટ ન મળતા સમર્થકો અકળાયા, કહ્યું – દલિત સમાજનું અપમાન
અમદાવાદ,
ગુજરાતમાં રાજ્યસભાની ૨૬ માર્ચે યોજાનારી ૪ બેઠકો મામલે હાલ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે. ગઈકાલે(૧૧ માર્ચ) ભાજપે બે ઉમેદવાર અભય ભારદ્વાજ અને રમીલાબહેન બારાના નામની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે જ હાલ રાજ્યસભાના સાંસદ શંભુ પ્રસાદ ટુંડીયાને ટિકિટ ન મળતા તેમના સમર્થકો અકળાઈ ઉઠ્યાં છે. માત્ર એટલું જ નહીં, સમર્થકોએ વોટ્સએપ ગ્રુપમાં આક્રોશ વ્યક્ત કરી સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે.
શ્રી સવગુણ ધામ નામના વોટ્સએપ ગ્રૂપમાં ચાલેલી ચર્ચાના સ્ક્રીન શોટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, બાપજીને રિપીટ નહીં કરી દલિત સમાજનું અપમાન કરવામાં આવ્યું છે, બાપજી આદેશ કરે તો બધા કમલમ ભેગા થાવ અને સામુહિક રાજીનામાં આપી દઈએ,બાપજીને રિપીટ ના કરવામા આવતા સમર્થકો નારાજ થઈ ગયા હોવાનું પણ જાણવા મળે છે.
તો બીજી તરફ ગુલબર્ગકાંડના આરોપીના વકીલ રહી ચૂકેલા અને વજુભાઇ વાળા સામે ભાજપમાંથી બળવો કરી ચૂંટણી લડેલા અભય ભારદ્વાજને રાજ્યસભાની ટિકિટ મળતા ભાજપમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. ભાજપના નેતાઓ ભારદ્વાજને ટિકિટ આપવાના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.તેમજ સંગઠનમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી છે કે અભય ભારદ્વાજ સિવાય પણ અનેક વરિષ્ઠ અને ભાજપના મૂલ્યોને વરેલા અગ્રણીઓને રાજ્યસભામાં તક મળવી જાઈએ.