લોકડાઉનઃ રાજકોટમાં દુકાનદારો,દાળ મિલના વેપારીઓને પાસ આપવામાં આવશે
- રાજકોટ ભાજપના ૪૦ કોર્પોરેટરે પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપશે
રાજકોટ,
અનાજ સહિતની વસ્તુઓ તંગી ન સર્જાઈ તે માટે માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને અન્ય અનાજ ની હરાજી શરૂ કરાશે. બટાકા-ડુંગળીની હરરાજી શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારની વિચારણા બાદ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શેરી ગલ્લીમાં રહેતા ફિઝિશિયન ડોક્ટર હાલ બંધ રાખવા લાગ્યા છે તેને પણ સૂચના આપશું કે સામાન્ય રોગમાં વિસ્તારવાસીઓને ઉપયોગી થાય. મહિલાઓને લોટ દળવા માટે મિલ શરૂ કરવામાં આવશે. અમુક લોકોને આવા પાસ ઇસ્યુ કરવામાં આવશે, જેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રેસ્ટોરન્ટ બંધ હોવાથી ફૂડ ડિલિવરી કરતી કંપનીઓ સાથે બેઠક કરી હતી. જેમાં સ્વીગી અને ઝોમેટોના રાજકોટમાં ૫૦૦-૫૦૦ પોઇન્ટ હોવાથી અનાજ, કરિયાણાની ડિલિવરી શરૂ કરવામાં આવશે.કરિયાણાના દુકાનદારો, ફ્લોરમિલ ધારકો, રાઇસ મિલ અને દાળ મિલના વેપારીઓને પાસ આપવામાં આવશે. મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સમાં રજૂઆત બાદ નિર્ણય લેવાયો છે. રાજકોટમાં ૫૫૦ જેટલી ફ્લોરમિલ આવેલી છે.
કોરોનાની વર્તમાન પરિÂસ્થતિને નજર સમક્ષ રાખી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ લોકડાઉન પીરીયડ દરમિયાન રાજકોટ શહેરમાં નાગરિકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માર્કેટિંગ યાર્ડ (એ.પી.એમ.સી.) સાથે સંકલન કરી લેવાયું છે અને માર્કેટિંગ યાર્ડમાંથી શહેરના લોકલ કરીયાણાની દુકાનોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો મળતો રહે તેવી વ્યવસ્થા ગોઠવી લેવાઈ છે તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, શહેરમાં કરીયાણાની જે જે દુકાનો ખુલ્લી રહેવાની છે તે દુકાન ઉપર રાજકોટ મહાનગરપાલિકાએ લીલા રંગના સ્ટીકર લગાવ્યા છે અને તેમાં લખાયું છે કે, આ દુકાન લોકડાઉન સમય દરમ્યાન ચાલુ રહેશે. તેમજ આ દુકાનમાં પૂરતી માત્રામાં જથ્થો ફાળવવામાં આવશે.