કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા મોરબીના વૃદ્ધનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત
મોરબી : મોરબીના માણેકવાડાના રહેવાસી એક વૃદ્ધનું રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ વૃદ્ધને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા કોરોનાના રિપોર્ટ માટે તેમના સેમ્પલ લેવાયા હતા. પરંતુ રિપોર્ટ આવે તે પહેલા જ તેમનું મૃત્યુ થયા તેમની રાજકોટ ખાતે જ અંતિમવિધિ કરવામાં આવી હતી. મૃતક વૃદ્ધનો રિપોર્ટ સાંજે આવે તેવી સંભાવના છે.
મોરબીના માણેકવાડાના વૃદ્ધનું આજે સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. વૃદ્ધને કેટલાક દિવસથી તાવ પણ હતો. અને વાલની બીમારી હોવાથી શ્વાસની તકલીફ હતી. પરંતુ તેમના લક્ષણો કોરોના જેવા જણાતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઈરસના આઇસોલેશન વોર્ડમાં દાખલ હતા. અને તેમના સેમ્પલ રિપોર્ટ માટે મોકલ્યા હતા. ત્યાં રાજકોટમાં વહેલી સવારે વૃદ્ધે દમ તોડ્યો છે. તંત્ર દ્વારા ફાયર બ્રિગેડની મદદથી મૃતકના ચાર પરિવારજનોને લઇને રાજકોટમાં જ અંતિમવિધી કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે મૃતકનો કોરોના રિપોર્ટ આજે સાંજે આવશે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી