પંચમહાલ : આજે 7 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા , કુલ કેસ 248 થયા

- હાલની સ્થિતિએ કુલ ૧૭૦ દર્દીઓએ રિકવરી મેળવી
- ૫૮ દર્દીઓ સારવાર હેઠળ
પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૭ નવા કેસ મળી આવતા કુલ કેસની સંખ્યા ૨૪૮ થવા પામી છે. નવા મળી આવેલા કેસો પૈકી હાલોલમાં ૫, કાલોલમાં ૧ અને હાલોલ ગ્રામ્યમાં ૧ કેસ મળી આવ્યા છે. હાલોલ નગરપાલિકા વિસ્તારમાં ગુરુકૃપા સોસાયટીના ૩૨ વર્ષીય મહિલા, આસ્થા રેસિડેન્સીના ૨૭ વર્ષીય અને સાંઈ પાર્કના ૨૫ વર્ષીય યુવક, ધવલ પાર્કના ૪૫ વર્ષીય અને કંજરી રોડ વિસ્તારના ૫૨ વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત થયા છે. કાલોલ તાલુકાના શ્રીજી સોસાયટીના ૩૩ વર્ષીય યુવાન અને હાલોલ તાલુકાના બાસ્કાના પોલીકેબ ગેસ્ટહાઉસના ૨૪ વર્ષીય યુવાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
સારવાર બાદ સાજા થતા આજે કુલ ૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે જિલ્લાના કુલ ૧૭૦ દર્દીઓ કોરોનાને પછડાટ આપી સાજા થયા છે. જ્યારે ૨૦ વ્યક્તિઓ સારવાર દરમિયાન અવસાન પામ્યા છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૫૮ થવા પામી છે, જેમની સારવાર ચાલી રહી છે. જિલ્લાના શહેરી વિસ્તારોમાં ૨૦૯ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાં ૩૯ કેસો નોંધાયા છે.
જિલ્લામાં કોરોના સંક્રમણ સામે બચાવ પ્રક્રિયાના ભાગરૂપે અત્યાર સુધી કુલ ૧૪,૩૮૦ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી ૧૨,૭૮૩ લોકોએ પોતાનો ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કર્યો છે, જ્યારે બાકીના ૧૫૯૭ લોકો હજી પણ ક્વોરેન્ટાઈન હેઠળ છે. જિલ્લામાંથી તપાસ અર્થે કુલ ૭૩૩૧ સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી ૨૪૮ સેમ્પલ પોઝિટીવ, ૬૬૬૯ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. ૬ સેમ્પલ રીપીટ સેમ્પલ હતા. ૫ દર્દીઓ કોવિડ-૧૯ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)