IAS મમતા વર્માનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સચિવાલય-સ્વર્ણિમ સંકુલમાં ફફડાટ….

ગુજરાત કેડરનાં મહિલા આઈએએસ અધિકારી મમતા વર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે સ્વર્ણિમ સંકુલ – સચિવાલયમાં ફફડાટ વ્યાપી ગયો છે. મમતા વર્માના પતિ સંજીવકુમાર પણ ગુજરાત કેડરનાં IAS ઓફિસર છે. અને તેઓ હાલ GSPCનાં એમડી છે. તેઓ ગાંધીનગરમાં ઉદ્યોગ ભવન પાસેના GSPC ભવનમાં બેસે છે. જેને કારણે ઉદ્યોગ ભવન-GSPCમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પણ ચિંતામાં પડી ગયા છે.
પ્રવાસન વિભાગનાં સેક્રેટરી એવા IAS મમતા વર્મા સચિવાલયમાં બ્લોક નંબર પાંચમા બેસે છે. જેની બરાબર સામે સ્વર્ણિમ સંકુલ (એસએસ)-૧ આવેલું છે. અને તેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત કેબિનેટ કક્ષાનાં મંત્રીઓની ઓફિસ આવેલી છે. આ ઉપરાંત એસએસ-૧માં નર્મદા, તાપી અને સાબરમતી જેવા મોટા વીવીઆઈપી કોંફરન્સ હોલ આવેલા છે. જ્યાં રાજ્ય સરકારની મોટાભાગની મિટિંગ-બેઠક મળતી હોય છે. મમતા વર્મા પ્રવાસન સચિવ હોવાને કારણે છેલ્લા દસ દિવસમાં ફેસ્ટિવલ સિઝનને લઈને ઘણી મિટિંગ્સ કરી ચુક્યા હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે. જો ખરેખર એવું હશે તો તેમના સંપર્કમાં આવનારા ઘણા બધા લોકોને કોરોન્ટાઇન થવું પડશે. આઈએએસ હારીત શુક્લા બાદ મમતા વર્મા બીજા એવા સનદી અધિકારી છે જે કોરોનાની ઝપટે ચઢ્યા છે.
ગાંધીનગરના ઓફિસર તોમરની ઓફિસ વર્માને કોવિડ-19 માટે સરકારે દરેક જિલ્લા માટે આઈએએસ અધિકારીને ગાંધીનગરના કોવીડ 19 પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. ગાંધીનગર માટે એનર્જી ડિપાર્ટમેન્ટનાં ACS સુનાયના તોમરની નિમણૂંક કરવામાં આવેલી છે. તોમરની ઓફિસ પણ બ્લોક પાંચમાં આવેલી છે. ચોથા માળે મમતા વર્માની ઓફિસ છે અને તોમરની પાંચમાં માળે. આથી સંભવ છે કે તોમર પણ વર્માના સંપર્કમાં આવ્યા હોય.
જો એવું હશે તો તોમરને પણ કોરોન્ટાઇન થવું પડી શકે છે તેમ સૂત્રોએ દાવો કર્યો છે. IAS સુનાયના તોમરના પતિ આઇપીએસ અજય તોમર છે. જેમની હાલમાં જ સુરત પોલીસ કમિશનર તરીકે નિમણૂંક થઈ છે. છેલ્લા દસેક દિવસમાં જો તોમર દંપતી પણ સંપર્કમાં આવ્યા હશે તો સુરતનાં પોલીસ કમિશનરને પણ કોરોન્ટાઇન થવું પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. હવે સાચવવાનું એ રહ્યું કે ગાંધીનગરના સચ્ચિવાલયથી શરૂ થયેલી આ ચેઈન ક્યાંથી તૂટી શકે અને વધુમાં વધુ લોકો કોરનાના સંક્રમણથી બચી શકે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)