ગુજરાત ભાજપમાં જુથવાદનો અંત..? સી.આર. પાટીલ અમિત શાહના જૂથને વિખેરશે…?

કહેવાય છે કે દરેકના જીવનમાં હંમેશા સારો સમય નથી ટકતો. પરિવર્તન સંસારનો નિયમ છે. એવામાં આજકાલ કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ સતત હોસ્પિટલાઈઝ થઈ જતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આખી બાજી હાથમાં લઈ પોતાનું સ્થાન મજબૂત બનાવી રહ્યા હોવાનું જાણકારો માં ચર્ચાઈ રહ્યું છે. હાલ માં શ્રાદ્ધ ચાલે છે તે પુરા થયા બાદ ભાજપનું પ્રદેશ માળખુ જાહેર થવાની ગણતરી છે. આ બધા વચ્ચે બોર્ડ નિગમમાં નિમણૂંક થાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે પાટીલ અમિત શાહ જૂથ ને સાફ કરી નાખે તેવી પણ હવા છે. નોંધનીય છે કે અમિત શાહ જૂથનો ગુજરાતમાં દબદબો યથાવત છે ત્યારે પાટીલ મોદીના નામે અલાયદુ જૂથ ઉભુ કરે તેવી વાતો સંભળાઈ રહી છે.
પ્રદેશ પ્રમુખ બન્યા પછી સીઆર પાટીલે બંધ કવર ફોર્મ્યુલા નો પ્રયોગ કર્યો છે અને ભાજપના નેતાઓના ભ્રષ્ટાચાર સહિતની ફરિયાદો અને રજૂઆતો સહિતના પુરાવા એકઠા કરવાનું એક કહી શકાય અભિયાન શરૂ કર્યુ છે જેથી પ્રદેશ સંગઠનમાં હોદ્દો આપવાનો હોય કે રૂપાણી સરકારમાં મંત્રી મંડળમાં ફેરબદલ કરવાનો હોય. પણ પુરાવા હોય તો ભાજપનો કોઇ નેતા સામે થવાની હિંમત નહીં કરે. જોકે, આ ફોર્મ્યુલને પગલે ભાજપમાં પાટીલ વિરૂદ્ધ અંદરખાને વિરોધનો સૂર ઉઠ્યો છે પણ કોઈ બોલી શકે તેવી સ્થિતિ માં નથી ,અત્યાર સુધી ગુજરાતમાં આનંદીબેન પટેલ અને અમિત શાહ જૂથ કાર્યરત હતા તે સમયે આનંદીબેન પટેલ અમિત શાહના જૂથ ને કાબુ કરવામાં કે તોડવામાં નિષ્ફળ નીવડ્યા હતા જોકે, અમિત શાહે આનંદીબેન જૂથનો સફાયો કરી દીધો હોવાનું ચર્ચાતુ હતું.
પણ હવે સી.આર.પાટીલ ની એન્ટ્રી બાદ ગુજરાત ના રાજકારણ માં જડમૂળમાંથી ફેરફાર અને શાહ જૂથનો સફાયો થવાના ચાન્સીસ વધી ગયા હોવાનું મનાય રહ્યુ છે હવે ખુદ પાટીલ પોતાનુ કદ મોટું કરવા સક્રિય બન્યાં છે. અને મોદીના નામે પાટીલ ભાજપ ના સમીકરણ બદલવા નિમિત્ત બની શકે છે.
હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત બિમાર રહે છે પરિણામે છેલ્લા કેટલાક સમય થી તેઓ રાજકારણ થી ધીરેધીરે દૂર થઈ રહ્યા છે તેવે સમયે શાહ જૂથના કાર્યકરો અને નેતાઓ હોદ્દા માટે ભલામણ કરી શકે તેવી સ્થિતિમાં નથી જેનો લાભ લઇ પાટીલને શાહ જૂથનો સફાયો કરી તખ્તો પલ્ટી નાખવાની રાજકીય તક સાંપડી છે. જાણકારો ના મતે પ્રદેશના માળખામાં જ નહીં, બોર્ડ-નિગમમાં નિમણૂંકમાં શાહ જૂથનું પત્તુ કપાય તેવા સંજોગો છે.
જોકે સી.આર.પાટીલે પ્રદેશ પ્રમુખ નો હોદ્દો સંભાળ્યા બાદ સતત પાર્ટી માં સંગઠન ની વાત કરતા આવ્યા છે અને કોઈ જૂથ જે વ્યક્તિ ની ભલામણ કરતા પાર્ટી ને જ વફાદાર રહેવા નિર્દેશ કરી જે પ્રમાણિક પણે કામ કરશે તેને જ ટિકિટ કે હોદ્દા ની વાત કરી અંદરખાને કોઈ જૂથ કે લાગવગ ને જડમૂળમાંથી ઉખેડી નાખવાની વાત કરી ચુક્યા છે જે તેઓએ ઈશારા માજ સમજાવી દીધું છે.