રાજકોટ : વડાપ્રધાનના હસ્તે અંદાજીત રૂ. 1200 કરોડના ખર્ચે નિર્માણ, એઇમ્સનું ઈ-ખાતમુહૂર્ત

રાજકોટ શહેર ખાતે નિર્માણ થનાર એઇમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું હતું કે આજે રાજકોટ એઇમ્સના શિલારોપણ દ્વારા દેશના આરોગ્ય ક્ષેત્રના આંતર માળખાને મજબૂત બનાવનાર વધુ એક કડી ઉમેરાઇ છે. જેના કારણે ગુજરાતની સાથે સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય-સેવાને નવું બળ મળશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં ગરીબ મા-બાપ તેમના બાળકોની જીંદગીમાં કર્જ ન આવે તે માટે બિમાર હોવા છતાં પણ આર્થિક સંકડામણના કારણે દર્દ ભોગવીને તેમનો ઈલાજ કરાવતા ન હતા. તેવા ગરિબ પરિવારો માટે સરકારનું આયુષ્માન ભારત યોજના રૂપી સુરક્ષા કવચ આજે આશિર્વાદરૂપ બન્યુ છે.
આ યોજનાથી અત્યાર સુધીમાં દોઢ કરોડ જેટલા ગરીબ દર્દીઓ રૂપિયા ૫ લાખ સુધીની આરોગ્ય સારવાર નિશુલ્ક કરાવી શક્યા છે. જેના કારણે તેમની રૂ.૩૦ હજાર કરોડ જેટલી માતબર રકમ બચાવી શક્યા છે. આ ઉપરાંત દેશભરમાં ફેલાયેલ ૭ હજારથી વધુ જન ઔષધિ કેન્દ્રોના કારણે આવા દર્દીઓની રૂ.૩૬૦૦ કરોડથી વધુ રકમની બચત થઇ છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, પોષણ યોજના, વગેરે થકી માતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પ્રધાનમંત્રીશ્રીએ ‘‘ફીટ ઇન્ડીયા અભિયાન’’ માં દેશના તમામ નાગરિકોને જોડાવા અનુરોધ કર્યો હતો. તેમણે કોરોના રસીકરણ માટેની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. તેમ જણાવી સમગ્ર દેશના નાગરિકોને એક થઇ રસીકરણના કાર્યમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.
રાજયપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીની કર્તવ્યનિષ્ઠા અને વિકાસવાદના વિચારોના પરિણામે આજે ભારત સમગ્ર દુનિયામાં વિકાસ ક્ષેત્રે અગ્રેસર બની રહયો છે. પહેલું સુખ તે નિરોગી કાયા તે વિચારને ચરિતાર્થ કરવા વડાપ્રધાનશ્રીએ આયુષ્માન ભારત યોજના દ્વારા દેશના પ્રત્યેક વ્યક્તિના આરોગ્ય સુખાકારીનું કાર્ય કર્યું છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતુ કે, ગુજરાતના લોકોને ગંભીર બિમારીના સમયમાં આરોગ્ય ઉચ્ચ સારવાર માટે ગુજરાત બહાર જવું ન પડે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીના પરિણામે ગુજરાતને એઈમ્સ પ્રાપ્ત થઈ છે. આરોગ્ય ક્ષેત્રમાં સૌથી મોટી સુવિધા આપનાર આ સંસ્થાનું રાજકોટમાં નિર્માણ થવાથી ગુજરાતના લોકોને આરોગ્ય ક્ષેત્રે ઉચ્ચત્તમ સુપર સ્પેશ્યાલીટી સેવા હવે ઘરઆંગણે મળી રહેશે. એઇમ્સ એ રાજયની આરોગ્યલક્ષી સુવિધાના ક્ષેત્રે યશકલગી સાબિત થશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, ૧૯૫૬ થી ગુજરાતને અન્યાય થતો હતો. જેના કારણે ભૂતકાળમાં એઈમ્સ તથા મેડીકલ કોલેજો જેવી સવલતો ગુજરાતને મળી નહોતી. પરંતુ વડાપ્રધાનશ્રીના વિઝનના કારણે આજે ગુજરાતને એઈમ્સ તેમજ ૩૦ જેટલી મેડિકલ કોલેજો પ્રાપ્ત થઈ છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે વિકાસની ગતી અવીરત રહી છે. ગોધરા, નવસારી, મોરબી, રાજપીપળા જેવા જીલ્લાઓમાં પણ મેડીકલ કોલેજોને મંજુરી મળી છે. આ ઉપરાંત મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પીટલો પણ હાલ ગુજરાતમાં કાર્યરત છે. તેવા સમયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટને એઇમ્સ ફાળવીને ગુજરાતને ભુતકાળમાં એઇમ્સ બાબતે થયેલા અન્યાયને દૂર કર્યો છે, જેનો લાભ ગુજરાત તેમજ ગુજરાત બહારના લોકોને મળશે.
આ પ્રસંગે મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, આરોગ્ય સચિવ ડો.જયંતી રવિ, વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી, સંસદસભ્યશ્રી સી.આર.પાટીલ અને પુનમબેન માડમ, રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભા.જ.પ.પ્રમુખશ્રી કમલેશ મિરાણી અગ્રણીશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી, કલેકટરશ્રી રેમ્યા મોહન, પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, મ્યુનિસીપલ કમિશ્નરશ્રી ઉદ્દીત અગ્રવાલ, ગ્રામ્ય પોલિસ અધિક્ષકશ્રી બલરામ મીના, જીલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.પટેલ, જીલ્લા પુરવઠા અધિકારીશ્રી પુજા બાવડા, પ્રાંત અધિકારીશ્રી વીરેન્દ્ર દેસાઇ, ડો.અમી યાજ્ઞિક, પૂર્વ ધારાસભ્યો, પદાધિકારીઓ, એઈમ્સના ડોક્ટર્સ તબીબી વિદ્યાશાખાના છાત્રો વગેરે ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)