પાલનપુર ખાતે કોવિડ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી

- પાલનપુર ખાતે કોવિડ કેર હેલ્પલાઇન- કંટ્રોલ રૂમ શરૂ કરાયો
- ફોન નં. ૦૨૭૪૨-૨૫૩૦૧૫ ઉપર ફોન કરી ૨૪ કલાક મદદ મેળવી શકાશે
કોરોનાની બીજી લહેરમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના નેતૃત્વમાં અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયાના સીધા માર્ગદર્શન અનુંસાર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કોરોનાના આ કપરા સમયમાં લોકોને સારવાર સંબંધિ માહિતી અને માર્ગદર્શન માટે પાલનપુર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે કોવિડ કેર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
આ હેલ્પલાઇન- કંટ્રોલ રૂમના ફોન નં. ૦૨૭૪૨-૨૫૩૦૧૫ ઉપર ફોન કરી કોવિડને લગતી માહિતી લોકો ૨૪ કલાક મેળવી શકે છે. તા. ૨૩ એપ્રિલથી શરૂ કરવામાં આવેલ આ કંટ્રોલ રૂમના નંબર પર ગઇકાલે ૭૦ અને આજે ૭૩ જેટલાં લોકોએ ફોન કરી સરકારી અને ખાનગી હોસ્પીટલો, હોસ્પીટલોમાં ઓક્શિજન, વેન્ટીલેટર, સાદા બેડ વગેરેની માહિતી તથા આર.ટી.પી.સી.આર. કે રેપિડ એન્ટીજન ટેસ્ટ કયાં કયાં સ્થળોએ કરવામાં આવે છે, રેમેડેસિવિર ઇન્જેકશન મેળવવા શું કરવું પડે, કઇ જગ્યાએથી રેમડેસિવિર ઇન્જેક્શન મળે છે, જિલ્લામાં કઇ કઇ જગ્યાએ કોરોનાની રસી અપાય છે, ટિફીન સેવા સહિતને લગતા કોલ કંટ્રોલ રૂમ ઉપર આવે છે.
બનાસકાંઠા જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ર્ડા. એન. કે. ગર્ગે જણાવ્યું કે, પાલનપુર જિલ્લા પંચાયત ખાતે શરૂ કરવામાં આવેલ કોવિડ કેર હેલ્પલાઇનમાં જે લોકો ફોન કરે અને માહિતી અથવા માર્ગદર્શન માગે છે તે અંગે સંબંધિત જગ્યાએ ફોન કરી તપાસ કરીને ફોન કરનારને પ્રત્યુતર કોલ પણ કરવામાં આવે છે. જિલ્લાના દૂરદરાજ વિસ્તારમાંથી સારવાર માટે આવતા લોકોને કયાંય મુંઝવણ કે મુશ્કેલી ન પડે તે માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ કાર્યરત રહે છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)