અંબાજી મંદિર 21 મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઇડલાઇન મુજબ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે 21 મે સુધી અંબાજી મંદિર અને તેને સંલગ્ન ધાર્મિક સંસ્થાઓ યાત્રિકો માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
ભટ્ટજી મહારાજ દ્વારા પૂજન, અર્ચન તથા ધાર્મિક વિધિ વિધાન રાબેતા મુજબ કરવામાં આવશે. તેમજ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મૂળ શક્તિપીઠ ગબ્બર મંદિર, અંબિકા વિશ્રામ ગૃહ, જગદ્દજનની પથિકાશ્રમ (હોલી ડે હોમ) તથા અંબિકા ભોજનાલય પણ બંધ રહેશે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડાએ જણાવ્યું છે કે વિશ્વભરમાં ફેલાયેલી આ મહામારી સામે માં અંબે સર્વેની રક્ષા કરે તેવી આપણે પ્રાર્થના કરીએ. આપ સૌ બિન જરૂરી ઘરની બહાર ન નિકળો, સામાજિક અંતર રાખો, ફરજીયાત માસ્ક પહેરો અને સરકારની કોવિડ-19ની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરો. તથા વેક્સિન લઇને પોતાની, પોતાના પરિવારજનોની સુરક્ષા સુનિશ્વિત કરીએ તથા તંદુરસ્ત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરીએ.