બનાસકાંઠા કલેકટર દ્વારા જમીન પચાવી પાડનાર સામે કાર્યવાહી

લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની કાર્યવાહીથી ભૂમાફીયા તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપો છે. માથાભારે તત્વો ગરીબ વ્યક્તિઓની જમીન પર બિનકાયદેસર રીતે કબજો ન જમાવે તથા જેમણે ગેરકાયદેસર રીતે સરકારી અથવા તો ખાનગી માલિકીની જમીન પર કબજો કર્યો છે તેવા વ્યક્તિઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ બનાવવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કલેકટરશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન પ્રમાણે વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અત્યાર સુધીમાં જમીન પચાવી પાડનારા ૮૦ આરોપીઓ વિરૂધ્ધ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ૨૦ જેટલી ફરીયાદો નોંધાઇ છે. જેમાંથી ૫૨ આરોપીઓની ફરીયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યાં છે. જયારે ૨૮ જેટલાં ફરાર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી માલિકીની કુલ રૂ. ૧૭ કરોડની જમીનો ભૂમાફીયાઓના સંકજામાંથી મુક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા કલેકટશ્રી આનંદ પટેલે જણાવ્યું છે કે, બનાસકાંઠા જિલ્લામાં સરકારી જમીન, ગૌચરની જમીન કે ગરીબ વર્ગની જમીન પચાવી પાડનારા તમામ માથાભારે તત્વો વિરૂધ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ તંત્ર દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)