વર્ષ 2022 માટે ગાંધીધામ ચેમ્બરના પદાધિકારીઓની વરણી

વર્ષ 2022 માટે ગાંધીધામ ચેમ્બરના પદાધિકારીઓની વરણી
વતાજેતરમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની કાર્યવાહક સમિતિના 25 સભ્યોની યોજાયેલી ચૂંટણી પછી તાકીદની બેઠકમાં વર્ષ 2022 માટે નીચેના પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તેજા એસ. કાનગડ, ઉપપ્રમુખ આદિલ એફ. સેઠના, માનદમંત્રી મહેશ એસ. તિથણી, માનદ સહમંત્રી જતિન એસ. અગ્રવાલ, કોષાધ્યક્ષમાં હરીશ જે. મહેશ્વરીનો સમાવેશ થાય છે. નવા વરાયેલા 45મા પ્રમુખ તેજાભાઇ કાનગડે વાતચિતમાં જણાવ્યું હતું કે, નવી ટીમ નવા વિઝન સાથે આગળ વધશે.
જેમાં કંડલા પોર્ટને વિશ્વકક્ષાની સુવિધા ઉભી થાય તેવા પ્રયત્ન કરવામાં આવશે અને તેને માટે પોર્ટ યુઝર્સથી લઇને તમામના સૂચનો પર ધ્યાન અપાશે. ઉપરાંત કમાઉ દિકરા સમાન બનેલા ગાંધીધામ રેલવે સ્ટેશન પર એશિયાના સૌથી મોટા ટીમ્બર માર્કેટના લાકડા, મીઠા ઉદ્યોગ માટે સારી સુવિધાઓ ઉભી થાય તે માટે પણ પ્રયત્ન કરવામાં આવશે. સારી સુવિધાપૂર્ણ રેક મળે જેથી પંજાબથી આવતા ચોખા ચણાક રેક મળે અને પતરાનેલઇને જે અસુવિધા ઉભી થાય છે તે દૂર થાય. ઉપરાંત ઓઇલ કંપનીઓ આઇઓસી, બીપીસી, સહિતની કંપનીઓ અહીં કમાણી કરી રહી છે.
સંકુલના સુખાકારી માટે સીએસઆરમાં ફાળો આપે તે દિશામાં પણ આગળ વધાશે. હાલ કંડલા બારૂદના ઢગલા પર છે તેવી જે વાત છે તેમાં વિશ્વકક્ષાની ફાયર ફાઇટર સિસ્ટમ મળે તે માટે પણ આગળ વધવામાં આવશે અને વખતો વખત લોકોના સૂચનો અને માર્ગદર્શનથી આગળ વધીને નવા વર્ષે જે સુવિધાઓ ઉપલબ્ધ છે તેમાં વધારો થાય અને નવી સુવિધાઓ પણ વધે તે માટે તેમની ટીમ પ્રયત્ન કરશે.
પદાધિકારીઓની ચૂંટણીની પ્રક્રિયા ચેમ્બરના પૂર્વ પ્રમુખ ચંપાલાલ પારખએ સંપન કરી પદાધિકારીઓને અભિનંદન પાઠવી તેમના વકતવ્યમાં જણાવ્યું હતું કે 70ના દસકમાં જયારે કંડલા પોર્ટ ઉપરથી ગવર્નમેન્ટ દ્વારા જ આયાત થતી હતી અને પોર્ટનો અન્ય વ્યાવસાયિક ધોરણે ઉપયોગ થતો ન હતો તે ચાલુ કરવા ચેમ્બરે તે વખતે ઓઈલ કંપનીઓ અને બેંકોના સહયોગ દ્વારા ભારતના આયાત નિકાસકારોને આકર્ષવા ખાસ ઝુંબેશ ઉપાડી હતી અને તેને ખૂબજ મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી તેમ જણાવી તેઓએ તમામ ચૂંટાયેલા કારોબારી સમિતિના સભ્યોને આ ટીમે ચેમ્બરનું ગૌરવ વધારવા હાકલ કરી હતી.
પૂર્વ પ્રમુખ અનિલ કુમાર જૈને તેઓને આજની મીટીંગની અધ્યક્ષતા કરવા માટે આભાર વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચેમ્બર ઓફ કોમર્સની કાર્યવાહક સમિતિની ચૂંટણીની જાહેરાત થતાં જ અગઉ 40 જેટલા ફોર્મ ભરાયા હતા. ત્યાર બાદ ગત રવિવારે યોજાયેલી મતદાન પહેલા 27 જેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. 13એ ઉમેદવારી પરત ખેંચી હતી. દરમિયાન હવે નવી ટીમ કાર્યરત કરવાના હેતુથી પગલા ભરવામાં આવ્યા હતા.
રીપોર્ટ: ભારતી માખીજાણી
કચ્છ