વેડચ ગામે નહેરમાં પાણી જ નહીં આવતા ખેતીને નુકસાનની ભીતિ

વેડચ ગામે નહેરમાં પાણી જ નહીં આવતા ખેતીને નુકસાનની ભીતિ
જંબુસર તાલુકાના વેડચ ગામની સીમમાં માઇનોર કેનાલ આવેલી છે.પરંતુ આજ આજ દિન સુધી આ કેનાલમાં પાણી ન આવતા ખેતીમાં મોટું નુકસાન જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. માવઠા,ચક્રવાત સહિત કુદરતી આપદા વચ્ચે ખેતીને થયેલી નુકસાનીનું વળતર હજી સુધી મળ્યું નથી ત્યારે નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીના કારણે ધરતીપુત્રોને પડતા પર પાટું જેવો ઘાટ થયો છે.
વેડચ ગામની સીમમાં આવેલા ભાગ 1, ભાગ 2 માઇનોર કેનાલમાં આજદિન સુધી સિંચાઈ માટે પાણી આવ્યું નથી જેના કારણે હજારો હેક્ટર જમીનમાં મહામહેનતે ફરી ઉભા કરેલા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રો સેવી રહ્યા છે. આ માઇનોર કેનાલને જોતાં સમારકામનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
આ અંગે અનેકવાર નર્મદા નિગમના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, છતાંય તેઓના પેટનું પાણી હાલતું નથી.રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેતીને પ્રોત્સાહન મળે તે માટે અનેક કાર્યક્રમોનું આયોજન સરકાર કરતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક નર્મદા નિગમના અધિકારીઓ જ ખેડૂતોની રજૂઆતોને ધ્યાને ન લઈ તેમની અવગણના કરતાં હોય તેમ આક્ષેપો કરાઈ રહ્યા છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.