કોઈપણ પ્રકારની કુદરતી આપત્તિ સામે સજ્જ રહેવા અધિકારીઓને રાજકોટ કલેક્ટરની તાકીદ
- વર્ષાઋતુના આયોજન અંગેની બેઠક
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં આગામી વર્ષાઋતુના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કોઈપણ પ્રકારની કુદરતી આપત્તિનો સામનો કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર તથા તમામ સરકારી વિભાગોને સજ્જ રહેવા માટે કલેક્ટરએ કડક સૂચના આપી હતી. ૧૦૦ વર્ષ જૂના ડેમોની યાદી તૈયાર કરવા કલેક્ટરએ તાકીદ કરી હતી, જેથી આ ડેમોનુ સમારકામ અને જાળવણી યોગ્ય સમયમાં થઈ શકે, અને સંભવિત આપત્તિ ટાળી શકાય. કલેકટરે ગ્રામ્ય વિસ્તારની શાળાઓની વિગતો પણ જાણી હતી, જેથી કરીને તાકીદના સમયમાં અસરગ્રસ્તોનું સામૂહિક સ્થળાંતર કરાવી શકાય.
જર્જરિત ચેકડેમોનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા કલેક્ટરએ સૂચના આપી હતી. પુરવઠા, માર્ગ અને મકાન, આરોગ્ય, પી.જી.વી.સી.એલ., ડીઝાસ્ટર મેનેજમેન્ટ, પોલિસ, ફાયર વગેરે વિભાગો હસ્તકના સાધન સરંજામ હાથવગા રાખવા અને ઉપયોગમાં લઇ શકાય તેવી સ્થિતિમાં ઉપલબ્ધ રાખવા કલેકટરએ ખાસ જણાવ્યું હતું. નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી બ્રીજેશ કાલરીયા, પ્રાંત અધિકારીઓ સર્વશ્રી કે.જી.ચૌધરી, વિવેક ટાંક, જે.એન.લીખીયા, સંદિપ વર્મા, ડેપ્યુટી કમિશ્નર બ્રીજેશ કાલરીયા, ચીફ ઓફિસરો અને મામલતદારો અને સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા.
ગિરીશ ભરડવા (રાજકોટ)