રાજુલાના માંડળ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીના અધ્યક્ષ સ્થાને PM-JANMAN કાર્યક્રમ સંપન્ન

PM-JANMAN અભિયાન ૨૦૨૪
રાજુલાના માંડળ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ
શ્રી ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષ સ્થાને PM-JANMAN કાર્યક્રમ સંપન્ન
જિલ્લાના આદિમ જૂથ એવા સીદી લોકોને
વિવિધ યોજનાકીય સહાયથી લાભાન્વિત કરવામાં આવ્યા
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિમ જૂથના
લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો
સમાજના તમામ વર્ગોના વિકાસ સાથે વર્ષ-૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો વડાપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે
– અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી
જિલ્લા કલેકટરશ્રીની પ્રેરક ઉપસ્થિતમાં સીદી
સમાજના કલાકારોએ પારંપારિક ધમાલ નૃત્ય રજૂ કર્યુ
ભારત સરકાર દ્વારા આદિમ જૂથોના સર્વાંગી વિકાસ માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન (PM-JANMAN) નો દેશવ્યાપી શુભારંભ
અમરેલી જિલ્લા ખાતે આદિમજૂથ (PVTG)-સીદ્દીની ૨૪૨ જેટલી વસ્તી વિવિધ ૨૫ જેટલી સહાયકીય યોજનાઓનો લાભ પહોંચાડવાની નેમ
અમરેલી : સમગ્ર ભારતમાં આદિમ જૂથોના સર્વાંગી વિકાસ માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન (PM-JANMAN) અમલમાં મૂકવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન (PM-JANMAN) અંતર્ગત જનજાતિ આદિમ જૂથના લોકોને વિવિધ યોજનાકીય સહાય – લાભો પહોંચાડવાની નેમ છે. ભારત સરકાર દ્વારા આદિમ જૂથોના સર્વાંગી વિકાસ માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન (PM-JANMAN) નો દેશવ્યાપી શુભારંભ થયો હતો.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડળ ખાતે સોમવારના રોજ PM-JANMAN કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ૧૧ લાભાર્થીઓને સ્થળ પર આવાસ યોજના, પી.એમ. કિસાન યોજના, આયુષમાન કાર્ડ અને વહાલી દીકરી યોજના સહિતના વિવિધ યોજનાકીય સહાય લાભ આપવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે, પી.એમ. જનમન કાર્યક્રમ અંતર્ગત સોમવારે માંડળ સ્થિત પ્રાથમિક શાળા ખાતે પ્રધાનમંત્રીશ્રીના લાઇવ પ્રસારણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીએ છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને લાભાર્થીઓને મળવા પાત્ર વિવિધ સહાય યોજનાના લાભની રકમ લાભાર્થીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લા ખાતે આદિમજૂથ (PVTG)-સીદ્દીની ૨૪૨ જેટલી વસ્તી હોવાનું ધ્યાને આવ્યું છે. જે અંતર્ગત ૨૫ જેટલી વિવિધ યોજનાઓનો વિવિધ વિભાગો દ્વારા સર્વે કરવામાં આવ્યો અને જોગવાઈઓ મુજબ લાભો આપવામાં આવ્યા છે.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયાએ કહ્યુ કે, જિલ્લામાં તાજેતરમાં જ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન થયું છે. સમાજના તમામ વર્ગોનો સમાન વિકાસ થાય તેવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ છે. આ કાર્યક્રમ દ્વારા આદિજાતિ અને ખાસ કરીને આદિમ જૂથને વિકાસની મુખ્યધારામાં જોડી અને તમામ વર્ગના વિકાસ સાથે વર્ષ-૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ જણાવ્યુ કે, અમરેલી જિલ્લામાં ગ્રામ્ય ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ સીદી આદિમ સમુદાય વસવાટ કરે છે. વહીવટી તંત્ર દ્વારા તેમનો સંપૂર્ણ સર્વે કરાવી અને તેમને તમામ મળવા પાત્ર તમામ યોજનાઓ હેઠળ આવરી લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા બે મહિનાથી આ અંગે સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા. છેવાડાના વિસ્તારમાં વસતા આદિમ જૂથના માનવીને પણ લાભ મળે તે આ મિશનનો મુખ્ય હેતુ છે. કોઈ પણ નાગરિક વિકાસથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ લાભ મેળવવવા પાત્ર બાકી રહેતા વ્યક્તિઓની અરજીઓનો સત્વરે નિકાલ કરવા સૂચના આપી હતી. સીદી સમુદાયના નવા મતદારોનું નામ મતદાર યાદીમાં સમાવેશ થાય તે સુનિશ્ચિત કરવા સૂચન કર્યુ હતું. આ સાથે ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે પણ અનુરોધ કર્યો હતો અને ગાય આધારિત ખેતીના ફાયદાઓ પણ તેમણે જણાવ્યા હતા.
રાજુલા તાલુકાના માંડળ અને મોરંગી ગામના ૧૩૪ લાભાર્થીઓના આધારકાર્ડ માટે જરુરી કાર્યવાહી કરવામાં આવી છે. તમામ લાભાર્થીઓને પ્રઘાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (NFSA)નો લાભ આપવામાં આવે છે. પી.એમ.કિસાન યોજનાનો લાભ પણ તેમના સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમના પ્રારંભે સીદી સમુદાયના કલાકારોએ પારંપારિક ધમામલ નૃત્યની પ્રસ્તુતિ કરી હતી જ્યારે શાળાની વિદ્યાર્થિનિઓ દ્વારા સ્વાગત નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
વર્ષ-૨૦૧૧ની જનગણના પ્રમાણે ભારતમાં ૭૦૦ થી વધારે આદિવાસી જાતિઓ છે. જેમાંથી ૭૫ જેટલી જાતિ આદિમજૂથમાં સમાવિષ્ટ છે. ગુજરાત રાજયમાં (૧) કાથોડી (૨) કોટવાલીયા (૩) પઢાર (૪) સીદ્દી (૫) કોલધાનો એમ ૫ આદિમજૂથ જાતિઓ સમાવિષ્ટ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૧૫ નવેમ્બર, ૨૦૨૩ (જનજાતિય ગૌરવ દિવસ)ના દિવસે આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતુ.
PM-JANMAN કાર્યક્રમ અંતર્ગત જનજાતિ આદિમજૂથના લાભાર્થીઓને આધારકાર્ડ, પી.એમ. ગરીબ કલ્યાણ અન્ન યોજના ( NFSA), પી.એમ.ઉજ્જવલા યોજના, પી.એમ. કિસાન યોજના,કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, પી.એમ. વિશ્વકર્મા યોજના, પી.એમ.જન-ઘન યોજના (વીમા યોજના), સુકન્યા સમૃધ્ધિ યોજના, માતૃ વંદના યોજના, સુરક્ષિત માતૃત્વ અભિયાન જેવી વિવિધ યોજનાકીય સહાય અને લાભનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, રાજુલા-જાફરાબાદ પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા આરોગ્ય સર્વલન્સ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, માલમતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300