હળવદના મંગળપુર ગામે ૪ અનાથ બાળકોની વહારે આવતું આર.સી.સી. ક્લબ ઓફ રણમલપુર

બાળપણમાં જ માત-પિતાનો આશરો ગુમાવનાર ચાર બાળકો શાળામાં ચાલતા મધ્યાન ભોજનમાં પેટનો ખાડો પુરતા
કુદરત સામે લાચાર અને નાની ઉંમરમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર હળવદના મંગળપુર ગામના ૪ અનાથ બાળકોની વહારે આવી આર.સી.સી. કલબ રણમલપુર દ્વારા માનવતાનું પગલું ભર્યું છે. દુનિયામાં એકલા અટુલા રહેતા મંગળપુરના ૪ બાળકોની રોટરી કલબ હળવદ તેમજ રણમલપુરના સભ્યોએ રાશન કીટથી માંડી અભ્યાસ માટે સ્ટેશનરી કીટનું વિતરણ કરી હંમેશ માટેની જરૂરીયાત પુરી પાડી છે.
હળવદ તાલુકાના મંગળપુર ગામના ચાર અનાથ બાળકોએ નાની ઉંમરમાં જ માતા – પિતાની છત્રછાયા ગુમાવતા અનાથ અને નિરાધાર થઈ ગયા હતા અને મંગળપુર ગામના ચાર બાળકોને ખાવા-પીવાના સાંસા થઈ ગયાનું ધ્યાને આવતા રોટરી કલબ હળવદ તેમજ રણમલપુરની આર.સી.સી. કલબના સભ્યોએ મંગળપુર ચાર અનાથ બાળકોની વહારે આવી જીવન જરૂરિયાતની કીટ સહિત ભણતર માટે નોટબુક, પેન્સીલ વગેરેની શૈક્ષણિક કીટ આપી આજે પણ આવી સંસ્થાઓ માનવતાનું નિઃસંકોચ કાર્ય કરી રહી છે.
બાળપણમાં જ માત-પિતાનો આશરો ગુમાવનાર આ બાળકોને શાળામાં ચાલતા મધ્યાન ભોજનમાં પેટનો ખાડો પુરતા પણ રવિવારે શાળામાં રજા હોવાથી ખાવાના સાંસા પડી જતા અને કપરી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ત્યારે આ બનાવ બન્યા પછી વડોદરા પાસે રહેતા એના ૯૩ વર્ષના દાદા બાળકોની સંભાળ લેવા માટે મંગલપુર આવ્યા પરંતુ આ ૯૩ વર્ષની ઉંમરે વૃધ્ધ શું કમાઈ શકે ? તે પણ પ્રશ્ન પેચિદો થઈ જવા પામ્યો હતો ત્યારે શાળાના આચાર્ય અનિલભાઈ વાઘેલાને આ અંગે જાણ થતાં તેમને રોટરી ક્લબ ઓફ હળવદનો સંપર્ક કરી આ બાળકોની પરિસ્થિતિ વિશે વાકેફ કર્યા હતા.
રોટરી કલબ ઓફ હળવદ દ્વારા સૌ પ્રથમ આ બાળકો ભુખ્યા ન સુવે તેને પ્રાધાન્ય આપી ખાવા-પીવાની વ્યવસ્થા કરી આપી. અને ૯૩ વર્ષના દાદાને આ પરિવાર માટે જ્યાં સુધી જરૂર જણાય ત્યાં સુધી પાલન પોષણ હેતુ કાયમી અનાજ કીટ ડોનેશનની યોગ્ય વ્યવસ્થા કરી આપી હતી. આ પ્રોજેક્ટ માટેનું ડોનેશન વિપુલભાઈ કાંતિભાઈ શાહ તરફથી આપવામાં આવશે જયારે બાળકોના અભ્યાસ માટે હવે પછી જ્યારે જે સ્ટેશનરી કે પુસ્તકોની જરૂર જણાશે ત્યારે રાજેશ સ્ટોર વાળા રાજેશભાઈ ઝાલા તરફથી આપવામાં આવશે. આ પ્રોજેક્ટમાં રોટરી પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પટેલ, નરભેરામભાઈ અઘારા, ગીરીશભાઈ કાવર અને સભ્યો હાજર રહ્યા હતા. આ સમગ્ર માનવતાના કાર્યને રાજેન્દ્રસિંહ રાણાએ સફળ બનાવ્યો હતો.